કોણ છે યુમનામ ખેમચંદ સિંહ જે બનશે મણિપુરના નવા CM? ભાજપ વિધાયક દળના નેતા તરીકે પસંદગી
નવી સરકારનું નેતૃત્વ એન. બિરેન સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા યુમનામ ખેમચંદ સિંહને ભારતીય જનતા પાર્ટી (BJP) વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હવે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. 2025માં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ત્યાં સુધી તેઓ બિરેન સિંહ કેબિનેટમાં નગરપાલિકા વહીવટ, આવાસ વિકાસ (MAHUD), ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને શિક્ષણ વિભાગ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળતા હતા.
સિંગજામેઈ બેઠક પરથી ધારાસભ્ય છે ખેમચંદ સિંહ
યુમનામ ખેમચંદ સિંહની ગણના મણિપુરના કદાવર નેતાઓમાં થાય છે. તેઓ વર્ષ 2017માં ઇમ્ફાલ વેસ્ટ જિલ્લાની સિંગજામેઈ (Singjamei) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મણિપુર વિધાનસભાના અધ્યક્ષ (Speaker) તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી હતી. વર્ષ 2022માં પણ મુખ્યમંત્રી પદની રેસમાં તેમનું નામ મોખરે હતું, પરંતુ તે સમયે એન. બિરેન સિંહ પર પસંદગી ઉતારવામાં આવી હતી.
RSS ના નજીકના અને આંતરરાષ્ટ્રીય ખેલાડી
યુમનામ ખેમચંદ સિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ખૂબ જ નજીકના ગણાય છે. રાજનીતિ ઉપરાંત, તેમની ઓળખ એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી તરીકેની પણ છે. તેઓ તાઈકવૉન્દોના શ્રેષ્ઠ ખેલાડી રહી ચૂક્યા છે અને તેમને તાઈકવૉન્દો માટે ‘ફિફ્થ-ડેન બ્લેક બેલ્ટ’ થી નવાજવામાં આવ્યા છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના પ્રથમ રાજકારણી છે.
હિંસા દરમિયાન નિશાન બન્યા હતા ખેમચંદ સિંહ
મે 2023માં મણિપુરમાં વંશીય હિંસા શરૂ થયા બાદ, કેન્દ્ર સરકારે ખેમચંદ સિંહ સહિતના કેબિનેટ મંત્રીઓને દિલ્હી બોલાવી સ્થિતિ સામાન્ય કરવા માટે વિશેષ પહેલ કરવા સૂચના આપી હતી. જોકે, હિંસાના ગાળામાં ઉશ્કેરાયેલા ટોળાએ તેમના સિંગજામેઈ સ્થિત નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. ઓક્ટોબર 2023માં તેમના ઘરના ગેટ પર ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યો હતો, જેમાં સીઆરપીએફના એક જવાન અને તેમના સંબંધી ઘાયલ થયા હતા.
યુમનામ ખેમચંદ સિંહની મુખ્યમંત્રી તરીકેની પસંદગી પાછળ તેમનો વહીવટી અનુભવ, RSS સાથેનું જોડાણ અને તમામ વર્ગોમાં તેમની સ્વીકાર્યતા મુખ્ય કારણો માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં કેટલા સફળ રહે છે.

