મહિલા અનામત બિલ: સંસદમાં મહત્ત્વની કસોટી – જાણો સંપૂર્ણ વિગતો અને વિવાદનું કારણ
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટેનું ‘મહિલા અનામત બિલ’ (નરી શક્તિ વંદન અધિનિયમ) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. વર્ષ 2023માં પસાર થયા બાદ, હવે આ બિલના અમલીકરણ અને તેમાં સૂચિત સુધારાઓને લઈને સંસદમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ગુરુવારે સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોના સમર્થનની અપીલ કરી છે.
શું છે આ મહિલા અનામત બિલ?
આ બિલ, જેનું સત્તાવાર નામ ‘ધ કોન્સ્ટિટ્યુશન (128મો સુધારો) બિલ, 2023’ છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા (એક તૃતીયાંશ) બેઠકો અનામત રાખવાનો છે.
આ બિલ હેઠળ લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વધારીને 815 કરવાની યોજના છે, જેમાંથી 273 બેઠકો સીધી રીતે મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. જોકે, 2023માં તેને સર્વસંમતિથી મંજૂરી મળી હોવા છતાં, વસ્તી ગણતરીમાં વિલંબને કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો.
વર્ષ 2023માં પાસ થયું હોવા છતાં અત્યારે ચર્ચા કેમ?
ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે જો આ બિલ અગાઉ કાયદો બની ગયું હતું, તો ફરીથી સંસદમાં ચર્ચા કેમ થઈ રહી છે? તેનું મુખ્ય કારણ ટેકનિકલ અને બંધારણીય છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 2023માં બિલ પાસ થયું હતું પરંતુ સરકાર દ્વારા તેને ગેઝેટમાં ‘અમલમાં’ (Bring into force) મૂકવામાં આવ્યું ન હતું, તેથી તે બંધારણનો હિસ્સો બની શક્યું ન હતું. હવે સરકાર આ બિલમાં સુધારો કરવા માંગે છે, જે મુજબ મહિલા અનામતને ‘સીમાંકન’ (Delimitation) સાથે જોડવામાં આવશે. સીમાંકન એટલે કે વસ્તી ગણતરીના આધારે સંસદીય અને વિધાનસભા મતવિસ્તારોની સીમાઓ ફરીથી નક્કી કરવી. આ પ્રક્રિયાને સત્તાવાર બનાવવા માટે, સરકારે 16 એપ્રિલથી આ એક્ટને અમલી બનાવવાની જાહેરાત કરી છે.
વિપક્ષના વિરોધનું મુખ્ય કારણ શું છે?
વિપક્ષી દળો આ બિલના હેતુ પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ સહિતના પક્ષોનો આરોપ છે કે સરકાર મહિલા અનામતની આડમાં સીમાંકન પ્રક્રિયા થોપી રહી છે, જે લોકશાહી પર હુમલો છે.
દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતા: વિપક્ષનું કહેવું છે કે જો સીમાંકન વસ્તીના આધારે થશે, તો દક્ષિણ ભારતના રાજ્યો (જેમણે વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે) તેમની બેઠકો ગુમાવી શકે છે અને ઉત્તર ભારતના રાજ્યોનું વર્ચસ્વ વધી શકે છે.
મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન: કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “અમે મહિલા અનામતના બહાને સીમાંકન દ્વારા સંસદને હાઇજેક કરવા દઈશું નહીં.”
શશિ થરૂરનો આરોપ: શશિ થરૂરે દાવો કર્યો છે કે સરકાર એવા વિસ્તારોમાં બેઠકો વધારવા માંગે છે જ્યાં સત્તાધારી પક્ષ મજબૂત છે, અને મહિલા અનામતનો ઉપયોગ માત્ર એક બહાના તરીકે કરવામાં આવી રહ્યો છે.
સરકારનો પક્ષ અને વડાપ્રધાન મોદીનું સંબોધન
સરકારનું કહેવું છે કે 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલા અનામતને વાસ્તવિકતા બનાવવા માટે તેને સીમાંકન સાથે જોડવું અનિવાર્ય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદની સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ આ અનામત લાગુ કરી શકાશે.
વડાપ્રધાન મોદીએ સંસદમાં ભાવુક અને આક્રમક અપીલ કરતા કહ્યું કે:
“આપણે આ કાયદો લાવવામાં 30 વર્ષ મોડા છીએ. વિકસિત ભારતનું સપનું માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નહીં, પરંતુ નીતિ નિર્ધારણમાં મહિલાઓની ભાગીદારીથી જ પૂર્ણ થશે.”
તેમણે વિપક્ષને ચેતવણી આપતા એમ પણ કહ્યું કે જે લોકો આ બિલનો વિરોધ કરશે તેમને દેશની મહિલાઓ માફ નહીં કરે. તેમણે આ મુદ્દાને રાજકીય રંગ ન આપવા વિનંતી કરી હતી.

