પાકિસ્તાનની સંસદમાં આખરે ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેતા
રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, 90 દિવસમાં ચૂંટણી યોજાવા જાહેરાત કરી છે.
ઈમરાન ખાને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના અડધા કલાક બાદ જ રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય જણાવતા સંસદ ભંગ કરી હતી. જેથી હવે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે.
પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ PM ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતુ કે, મારી વિરુદ્ધ વિદેશી કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. તેઓએ કહ્યું કે,દેશ વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું. જે કાવતરું આજે નિષ્ફળ ગયું છે.
પાકિસ્તાનની સંસદમાં આજે ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને કલમ 5 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ સંસદ 25 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આમ ઈમરાન સરકાર બચી ગઈ છે.
ઈમરાન ખાને કહ્યું કે હું સ્પીકરના નિર્ણય પર દરેક પાકિસ્તાનીને અભિનંદન આપું છું અને ચૂંટણી લોકશાહી ઢબે કરવા હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા અપીલ કરું છું.