જીવલેણ કોરોના વાયરસની મહામારી સમગ્ર દુનિયામાં લાખો લોકોને ભરખી ગઇ છે અને હજી પણ કરોડો લોકો આ બિમારી સામે લડી રહ્યા છે. આ જીવલેણ બિમારી ફેલાયાના લગભગ એક વર્ષ થવા આવશે તેમ છતાં હજી સુધી તેની સારવાર માટેની અસરકારક રસી મળી નથી. વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસની રસીનું સંશોધન યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે અને આગામી ત્રણથી છ મહિનાની અંદર અસરકારક રસ મળવાની આશા છે. જો કે રસી શોધાયા બાદ પણ વિશ્વની 25 ટકા વસ્તી વર્ષ 2022 સુધી રસીકરણથી વંચિત રહેવાની દહેશત છે તેવી એક સંશોધનમાં જણાવાયુ છે.
દુનિયાની લગભગ 25 ટકા વસ્તીને દવા કંપનીઓ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ 2022 સુધીમાં કોરોનાની વેક્સિન નહીં આપી શકાય તેવુ એક સંસોધનનુ તારણ છે.
અમેરિકાની એક જાણીતી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, રસીનુ વિતરણ કરવાનુ કામ રસી ડેવલપ કરવા જેટલુ જ પડકાર જનક છે. એક અનુમાન પ્રમાણે દુનિયાભરના 3.7 અબજ પુખ્તવયના લોકો આ રસી મુકાવવા માગે છે. આ આંકડો ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં માગની સામે સપ્લાય માટે ઉભા થનારા પડકારો તરફ ઈશારો કરે છે.
અમેરિકાની જોન હોપકિન્સ બ્લૂમવર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોનુ કહેવુ છે કે, આ રિસર્ચ બતાવે છે કે, વધારે આવક ધરાવતા દેશોએ ભવિષ્યમાં કોરોના વેક્સિનનો સપ્લાય સિક્યોર કરી લીધો છે પણ દુનિયાના બીજા દેશોમાં તેનો પૂરવઠો ક્યારે અને કેવી રીતે પહોંચશે તે બાબત હજી અનિશ્ચિતતાના ઘેરામાં છે.