નવી દિલ્હીઃ કોરોના મહામારીના લીધે વિશ્વમાં આર્થિક મંદી સર્જાઇ છે અને કરોડો લોકોએ નોકરી ગુમાવતા ગરીબીની ખીણમાં ધકેલાઇ ગયા છે જેના કારણે ભયંકર ભૂખમરાની સમસ્યા સર્જાઇ છે. ભારતમાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઇ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં જ કહ્યુ હતુ કે, વર્ષ 2020માં ગ્લોબલ ફૂડ ઇનસિક્યોરિટી 15 વર્ષની ઉંચાઇએ પહોંચી ગઇ હતી. મહામારીને કારણે આવક પ્રભાવિત થવાથી દુનિયાની 10 ટકા વસ્તી આરોગ્યપ્રદ ભોજનથી વંચિત થઇ ગઇ છે.
ચાલુ વર્ષે સ્થિતિ વધારે બદતર થવાની આશંકા છે. તેનું કારણ એ છે કે કૃષિ પેદાશો મોંઘી થવાથી અને સપ્લાય ચેઇનમાં અવરોધો સર્જાવાના લીધે ખાણી પીણીની ચીજોની કિંમતો એક દાયકાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગઇ છે. તે એવા ગરીબ દેશો માટે સારા સમાચાર નથી જે ખાણી પીણીની ચીજોના મામલે આયાત પર નિર્ભર છે.
નેચર ફૂડ જર્નલમાં ચાલુ મહિને પ્રકાશિત એક સ્ટડી મુજબ એશિયા અને આફ્રિકાના ગરીબ અને મિડલ ઇન્કમ દેશોમાં ભૂખમરો વધવાથી રાજકીય અસ્થિરતાનો ખતરો સર્જાયો છે. અમેરિકાના કૃષિ વિભાગની રિપોર્ટ મુજબ અમેરિકાથી મદદ મેળવનાર 76 દેશોમાંથી 1.2 અબજ લોકોને ચાલુ વર્ષે ખાવાના ફાફા પડી શકે છે. જે તેવા દેશોની કૂલ વસ્તીની 31 ટકા જનસંખ્યા છે. મહામારી પહેલા આ સંખ્ય 76.1 કરોડ હતી.
અમેરિકન કૃષિ વિભાગની રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે ભૂખમરાના આરે પહોંચલા મોટાભાગના લોકો એશિયાના છે. ખાસ કરીને બાંગ્લાદેશ, ભારત, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં આવા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધશે જેમની પાસે ભોજન માટે પુરતો ખોરાક કે નાણાં નથી. યમન, ઝિમ્બાવવે અને કાંગો જેવા દેશમાં 80 ટકાથી વધારે વસ્તી પાસે ખાવા માટે પુરતુ ભોજન નથી.