Iran-Israeli War: ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર હુમલો, લીકેજ પર વિવાદ
Iran-Israeli War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં, ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર ભારે હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઈરાનના મુખ્ય પરમાણુ સંસ્થાનો પૈકીના એક — નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટને પણ નિશાન બનાવાયો હોવાનું સામે આવ્યું છે.
આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે.
IAEAનો ગંભીર દાવો: રેડિયેશન અને કેમિકલ લીકેજ
અહેવાલ મુજબ, IAEAના મહાસચિવ રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ઈઝરાયલના હુમલાને પગલે નાતાન્ઝ પરમાણુ સુવિધામાં “કિરણોત્સર્ગી અને રાસાયણિક લીકેજ” થયું છે. ગ્રોસીએ વધુમાં ઉમેર્યું હતું કે, “સ્થળના ઉપરના ભાગને ભારે નુકસાન થયું છે. જો કે ભૂગર્ભ સંવર્ધન કેન્દ્રો હાલ સુધી સુરક્ષિત જણાઈ રહ્યા છે. તેમ છતાં, સેન્ટ્રીફ્યુજ ઉપકરણો વીજળીના અભાવે અસરગ્રસ્ત થઈ શકે છે.”
ઈરાનનો ઈનકાર: ‘માત્ર ઓપરાશિક નુકસાન’
IAEAના દાવા સામે ઈરાને કડક પ્રતિસાદ આપ્યો છે. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનના પ્રવક્તા બેહરોઝ કમાલવંદી મુજબ, “હમલામાં માત્ર ઉપરી રચનાને નુકસાન થયું છે. કિરણોત્સર્ગી કે રાસાયણિક લીકેજના કોઈ પુરાવા નથી અને નાતાન્ઝમાં કોઈ જાહેર આરોગ્યના ખતરા જેવી સ્થિતિ ઉભી નથી.”
તેમણે ઉમેર્યું કે પ્લાન્ટની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને તમામ પ્રક્રિયાઓ ટૂંક સમયમાં પુનઃશરુ થશે.
નાતાન્ઝ – ઈરાનનું મહત્વપૂર્ણ સંવર્ધન કેન્દ્ર
નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ, ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 150 માઇલ દક્ષિણમાં આવેલું છે. તે દેશનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન સ્થળ છે જ્યાં IAEAના દાવા મુજબ, ઈરાન હાલમાં 60 ટકા શુદ્ધતાવાળું યુરેનિયમ સંવર્ધિત કરે છે — જે શસ્ત્ર-ગ્રેડ સ્તરની નજીક ગણાય છે.
વિશ્લેષણકારો શું કહે છે?
વિશ્લેષકો માને છે કે જો IAEAના દાવાઓ સાચા ઠરે, તો તે માત્ર ઇરાન માટે નહિ, પણ સમગ્ર પ્રદેશ માટે પરમાણુ સુરક્ષા સંદર્ભે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, ઈરાનનું સ્પષ્ટીકરણ આકસ્મિક તણાવને નિયંત્રિત કરવા માટે એક કૂટનાયતિક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.