Iran: ઈરાન-અમેરિકા તણાવ,પરમાણુ કાર્યક્રમ પર હુમલાની સ્થિતિમાં ઈરાનનો કડક જવાબ
Iran અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાને અમેરિકા સાથે કોઈ પણ સંઘર્ષની સ્થિતિમાં મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવવાની ચેતવણી આપી છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે.
ઓમાનની રાજધાની મસ્કતમાં એપ્રિલમાં શરૂ થયેલી ઈરાન-અમેરિકા પરમાણુ વાટાઘાટો સમાપ્ત થવાના આરે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે કરાર પર પહોંચવામાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રો બનાવવા દેવા માંગતા નથી અને તેઓ ઈરાનના પરમાણુ થાણાઓ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે.
આ તણાવ વચ્ચે, ઈરાનના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે જો અમેરિકા સાથે સંઘર્ષ શરૂ થાય છે, તો ઈરાન મધ્ય પૂર્વ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવશે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને હવે વિશ્વાસ નથી કે પરમાણુ કરાર પર સંમતિ સાધવામાં આવશે.
પાંચ રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ ગઈ
એપ્રિલથી વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનના યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવા માટે કરાર શોધી રહ્યું છે. જો કોઈ સમજૂતી ન થાય તો તેઓએ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે.
ઈરાનના સંરક્ષણ પ્રધાન નાસીરઝાદેહે બુધવારે કહ્યું હતું કે જો અમેરિકા પહેલા ઈરાન પર હુમલો કરશે, તો તે પ્રદેશમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવશે. અહેવાલ મુજબ, નાસીરઝાદેહે મીડિયાને જણાવ્યું હતું કે, “જો વાટાઘાટો સફળ નહીં થાય તો બીજી બાજુના કેટલાક અધિકારીઓ સંઘર્ષની ધમકી આપી રહ્યા છે. જો અમારા પર સંઘર્ષ લાદવામાં આવશે… તો બધા અમેરિકન થાણાઓ અમારી પહોંચમાં છે અને અમે હિંમતભેર યજમાન દેશોમાં તેમને નિશાન બનાવીશું.”
શું યુએસ અધિકારીઓ ઇરાકથી ભાગી રહ્યા છે?
અહેવાલ મુજબ, ઇરાક કહે છે કે બગદાદમાં અમેરિકન દૂતાવાસમાંથી અમેરિકન કર્મચારીઓને બહાર કાઢવા માટે કોઈ ગંભીર સુરક્ષા ખતરો નથી. જો કે, યુએસ અને ઇરાકી સૂત્રોના અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે વોશિંગ્ટન તેના દૂતાવાસને આંશિક રીતે ખાલી કરાવવાની યોજના બનાવી રહ્યું છે અને પ્રદેશમાં વધતા સુરક્ષા જોખમોને કારણે લશ્કરી પરિવારોને મધ્ય પૂર્વના કેટલાક સ્થળોએ ખસેડવાનું વિચારી રહ્યું છે.