Israel-Iran War: ઈઝરાયલી હવાઈ હુમલાઓમાં ઈરાનમાં 950થી વધુ લોકોના મોત, 3,450થી વધુ ઘાયલ: અમેરિકન માનવ અધિકાર સંગઠનનો અહેવાલ
Israel-Iran War– ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બંને દેશોમાં ભારે તબાહી ફેલાઈ રહી છે. હવાઈ હુમલાઓમાં રહેણાંક વિસ્તારો ઉપરાંત લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હવે, અમેરિકન માનવ અધિકાર સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતી ચોંકાવનારી છે.
સંગઠન અનુસાર, ઈઝરાયલ દ્વારા ઈરાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 950 લોકોના મોત થયા છે, જ્યારે 3,450થી વધુ ઘાયલ થયા છે. આ સંગઠનનું કહેવુ છે કે તે ઈરાનમાં થતા માનવ અધિકાર ઉલ્લંઘનો અને હિંસક ઘટનાઓનું ડેટા સ્વતંત્ર રીતે એકત્રિત કરે છે.
મૃતકોમાં નાગરિકો અને સુરક્ષા દળો બંનેનો સમાવેશ
અહેવાલ મુજબ, મૃતકોમાં 383 નાગરિકો તેમજ 253 સુરક્ષા દળના કર્મચારીઓનો સમાવેશ થાય છે. બાકીના લોકો લશ્કરી કે સરકારી ઓળખાવા વગરના લોકો છે, જેમની ઓળખ હજી થઇ શકી નથી.
ઇરાન સરકાર જુદી સંખ્યા દર્શાવે છે
જ્યારે અમેરિકન માનવ અધિકાર સંગઠન મૃત્યુઆંક 950 કરતા વધુ બતાવે છે, તયાં બીજી તરફ ઈરાન સરકારનું કહેવું છે કે ઈઝરાયલી હુમલાઓમાં અંદાજે 400 નાગરિકો માર્યા ગયા છે અને 3,056 લોકો ઘાયલ થયા છે. અગાઉ પણ ઈરાન દ્વારા થયેલી જાનહાનિની સંખ્યા ઓછી બતાવવામાં આવતી રહી છે.
મહસા અમીની કેસ બાદ વિશ્વનું ધ્યાન
યાદ રહે કે આ જ માનવ અધિકાર સંગઠને 2022માં ઇરાનની યુવતી મહસા અમીનીના મોત બાદ દેશમાં ઉદભવેલા વિરોધો દરમિયાન પણ જાનહાનિના સંખ્યાત્મક આંકડા જાહેર કર્યા હતા. ત્યારે પણ ઇરાન સરકારે આંતરિક હિંસાની ગંભીરતા ઓછી બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
હવાઈ હુમલાઓ યથાવત્, તણાવ ઊંચે
હાલમાં પણ બંને દેશો વચ્ચે હવાઈ હુમલાઓ ચાલુ છે. સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે.