કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા પર પણ સંકટ સર્જાયું છે. આ વાઈરસને ફેલાતો અટકવવા માટે વિશ્વના અનેક દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. કામ-ધંધા ઠપ્પ છે, જેના પગલે નોકરીઓ પર પણ સંકટ આવી ગયું છે.
બ્રિટનમાં લૉકડાઉનના કારણે કામકાજ ઠપ્પ હોવાથી કંપનીઓને જંગી આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. જેના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓના પગાર ઘટાડી રહી છે અથવા તો તેમને નોકરીમાંથી છૂટા કરી રહી છે. કંપનીઓની આ પરેશાનીને ધ્યાનમાં રાખીને હવે બ્રિટનની સરકારે “નોકરી બચાવો યોજના” શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને 80 ટકા પગારની ચૂકવણી સરકાર કરશે. આ માટે સરકારે કંપનીઓ પાસે અરજીઓ મંગાવી છે. જેવી આ યોજના સરકારે લાગૂ કરી કે, થોડાક જ કલાકોમાં એક લાખથી વધુ કંપનીઓએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે.
આ અંગે માહિતી આપતા બ્રિટનના ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું કે, કોરોના વાઈરસના કારણે રજા પર ઉતારવામાં આવેલા કર્મચારીઓના પગારની ચૂકવણીમાં મદદ માટે સરકાર દ્વારા આ “નોકરી બચાવો યોજના” લાવ્યા છીએ. આ યોજનાની જાહેરાત થયાના થોડાક જ કલાકોની અંદર 1,40,000 કંપનીઓએ મદદ મેળવવા માટે અરજી કરી છે.
ભારતીય મૂળના ચાન્સેલર સૂનકે વધુમાં જણાવ્યું કે, કંપનીઓને 6 દિવસની અંદર કર્મચારીઓને ચૂકવવાના થતાં રૂપિયા મળી જશે અને તેમને અપડેટ મોકલવામાં આવશે.