તેહરાનમાં ખળભળાટ: ૨૫૦ મુજાહિદ્દીનોનો અયાતુલ્લા અલી ખામેનેઈના નિવાસસ્થાન પર હુમલો, શું ઈરાનમાં સત્તાપલટો થશે?
ઈરાન અત્યારે ઈતિહાસના સૌથી મોટા આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પીપલ્સ મુજાહિદ્દીન ઓર્ગેનાઈઝેશન (MEK) નામના સંગઠને મધ્ય તેહરાનમાં સ્થિત ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના સત્તાવાર નિવાસસ્થાન ‘બૈત-એ રહબરી’ પર ભીષણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ સંગઠને આટલી હિંમત બતાવી સીધો જ સુપ્રીમ લીડરના ઘરને નિશાન બનાવ્યું હોય.
લોહિયાળ સંઘર્ષ અને ધરપકડના દાવા
અહેવાલ મુજબ, સોમવારે (૨૩ ફેબ્રુઆરી) આધુનિક હથિયારોથી સજ્જ આશરે ૨૫૦ મુજાહિદ્દીનોએ ખામેનેઈના કાર્યાલય અને નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. સંગઠનનો દાવો છે કે આ અથડામણમાં ઈરાની સેનાના અનેક જવાનો માર્યા ગયા છે, જ્યારે સેનાએ તેમના ૧૦૦ સભ્યોની ધરપકડ કરી છે. જોકે, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ફક્ત 4 લોકોની ધરપકડની પુષ્ટિ કરી રહી છે. આ હુમલામાં કેટલાક મુજાહિદ્દીનોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે.
ખામેનેઈ અંડરગ્રાઉન્ડ બંકરમાં, પુત્ર સંભાળી રહ્યો છે કમાન
દેશમાં વધતા તણાવ અને જીવના જોખમને જોતા અયાતુલ્લા અલી ખામેનેઈએ પોતાનું નિવાસસ્થાન છોડી દીધું છે અને તેઓ અત્યારે એક સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકરમાં આશરો લઈ રહ્યા છે. તેમના આવાસ અને ઓફિસની સુરક્ષા તેમજ વહીવટની જવાબદારી હાલમાં તેમનો પુત્ર મોજતબા ખામેનેઈ સંભાળી રહ્યો છે. ઈરાની સંસદના સભ્યો અત્યારે આ હુમલા પર મૌન સેવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
કોણ છે હુમલો કરનાર MEK સંગઠન?
પીપલ્સ મુજાહિદ્દીન ઓર્ગેનાઈઝેશન (MEK)ની સ્થાપના ૧૯૬૫માં શાહના શાસન વિરુદ્ધ લડવા માટે થઈ હતી. ૧૯૭૯ની ક્રાંતિમાં પણ તેમનો મોટો ફાળો હતો, પરંતુ બાદમાં ખામેનેઈ સાથેના મતભેદોને કારણે આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંગઠનનું નેતૃત્વ મેરિયમ રઝાવી કરી રહ્યા છે, જે ઈરાનને એક ધર્મનિરપેક્ષ (Secular) રાષ્ટ્ર બનાવવા માંગે છે. વર્ષ ૨૦૦૨માં આ જ સંગઠને ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમની વિગતો દુનિયા સમક્ષ જાહેર કરી હતી.
ઈરાનમાં વિપક્ષનું પુનરાગમન?
લાંબા સમયથી ઈરાનમાં વિપક્ષનો અવાજ દબાયેલો હતો, પરંતુ ખામેનેઈના નિવાસસ્થાન પર થયેલો આ સુનિયોજિત હુમલો દર્શાવે છે કે હવે વિરોધના સૂર વધુ તીવ્ર બન્યા છે. એક તરફ અમેરિકા સાથે યુદ્ધની સંભાવના અને બીજી તરફ આંતરિક બળવો ઈરાન સરકાર માટે ‘બે પડ પડ્યા’ જેવી સ્થિતિ સર્જી રહ્યા છે.

