શહેરી વિકાસ વર્ષ 2025માં વૃક્ષારોપણ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ક્લીન એર એક્શન પ્લાન પર ભાર
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના શહેરોને આધુનિક, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે અનેકવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પર અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી આયોજનને ટકાઉ બનાવી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે.
શહેરોમાં ગ્રીન કવર અને પર્યાવરણ સુધારણા
શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને હરિયાળી વધારવા માટે રાજ્ય સરકારે મજબૂત આયોજન કર્યું છે:
-
નવા ગ્રીન સ્પેસ: રાજ્યમાં ૨૪૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં નવા બાગ-બગીચા, અર્બન ફોરેસ્ટ અને સ્પન્જ પાર્ક્સ વિકસાવવામાં આવશે.
-
વૃક્ષારોપણ: ૯૯ લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૨ નગરપાલિકાઓમાં ૯૦ લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરી દેવાયું છે.
-
ક્લીન એર એક્શન પ્લાન: હવાની ગુણવત્તા સુધારવા માટે તમામ મહાનગરપાલિકાઓમાં વિશેષ એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે.
જળ સંચય અને લેકફ્રન્ટ ડેવલપમેન્ટ
‘કેચ ધ રેઈન’ અભિયાન દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે:
-
રેઈન વોટર હાર્વેસ્ટિંગ: ૨,૯૦૦ જેટલી સિસ્ટમ્સ દ્વારા ૪.૧૯ લાખ કિલોલિટર વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.
-
તળાવોનું નવીનીકરણ: કુલ ૧૪૦ લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનું લક્ષ્ય છે, જેમાંથી ૫૪ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે.
સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન (Legacy Waste)
રાજ્ય સરકાર માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૦૦% લેગસી વેસ્ટ (જૂના કચરાના પહાડો) ના નિકાલ માટે પ્રતિબદ્ધ છે:
-
વેસ્ટ મેનેજમેન્ટ: ઓળખ કરાયેલા ૩૦૪.૦૯ લાખ મેટ્રિક ટન કચરામાંથી ૨૮૧.૮૦ લાખ મેટ્રિક ટનનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.
-
સ્વચ્છતા અભિયાન: ₹૨,૭૫૬ કરોડના ખર્ચે ૧,૮૨૩ થી વધુ પ્રોજેક્ટ્સ દ્વારા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVPs) દૂર કરવામાં આવશે.
ઊર્જા અને પુનઃઉપયોગ
ટકાઉ વિકાસના ભાગરૂપે કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે:
-
સોલાર પ્રોજેક્ટ્સ: ૨૮૫થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો પ્રયાસ.
-
પાણીનો પુનઃઉપયોગ: ૨૦ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટ્સ (RTWW) દ્વારા દરરોજ ૬૫૬ મિલિયન લિટર પાણી ઉદ્યોગો કે અન્ય વપરાશ માટે ઉપલબ્ધ બનશે.
આ તમામ પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણથી ગુજરાતના શહેરો વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે સજ્જ બનશે અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.

