સ્વદેશી મેળામાં ‘હર્બ્સ ઈન લીફ’ બ્રાન્ડ સાથે મનસ્વીબહેન છગે ઊભી કરી આત્મનિર્ભરતાની નવી ઓળખ
મહિલા સશક્તિકરણ માત્ર શબ્દોમાં નહીં પરંતુ વાસ્તવિકતામાં ત્યારે દેખાય છે જ્યારે કોઈ સ્ત્રી પોતાની મહેનતથી શૂન્યમાંથી સર્જન કરે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા મનસ્વીબહેન પ્રદિપભાઈ છગ આવી જ એક પ્રેરણાદાયી શખ્સિયત છે. વેરાવળના કે.સી.સી. મેદાનમાં નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળા’માં મનસ્વીબહેનનો સ્ટોલ આજે અનેક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જે સાબિત કરે છે કે જો દ્રઢ મનોબળ હોય તો પ્રાઈવેટ નોકરીના બંધનો છોડી વ્યાપારમાં પણ સફળતા મેળવી શકાય છે.
‘હર્બ્સ ઈન લીફ’ બ્રાન્ડ દ્વારા આયુર્વેદિક ક્રાંતિ
મનસ્વીબહેને અભ્યાસ પૂર્ણ કર્યા પછી પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી શરૂ કરી હતી, પરંતુ મનમાં કંઈક અલગ કરવાની તમન્ના હતી. તેમણે નોકરી છોડીને ‘હર્બ્સ ઈન લીફ’ બ્રાન્ડ લોન્ચ કરી. શરૂઆતમાં માત્ર આયુર્વેદિક હેર ઓઈલથી બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ ગુણવત્તાના જોરે આજે તેઓ વિવિધ પ્રોડક્ટ્સ જેવી કે:
-
હેર કેર: હેર ઓઈલ અને હેર માસ્ક.
-
સ્કિન કેર: ફેસ પેક અને ડી-ટેન સોપ.
-
હેલ્થ કેર: વેઈટ લોસ પાઉડર. આવી સાતથી વધુ પ્રોડક્ટ્સ બનાવી તેઓ આજે બજારમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. સ્વદેશી મેળા જેવા પ્લેટફોર્મ પર તેમને ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
સરકારી યોજનાઓ અને મેળાનો ટેકો
પોતાની સફળતાનો શ્રેય સરકારની પ્રોત્સાહક નીતિઓને આપતા મનસ્વીબહેને જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા આયોજિત આવા મેળા નવા સાહસિકો માટે વરદાન સમાન છે. આ પ્લેટફોર્મ દ્વારા નાની બ્રાન્ડ્સને સીધું માર્કેટ અને ગ્રાહકો મળે છે, જેનાથી વ્યાપારના વિસ્તરણમાં ખૂબ મદદ મળે છે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મનસ્વીબહેન જેવી અનેક યુવતીઓ આજે પોતાનું યોગદાન આપી રહી છે.
મનસ્વીબહેનની આ સફર અન્ય નોકરીયાત યુવતીઓ માટે એક સંદેશ છે કે જો તમારી પાસે વિઝન અને મહેનત કરવાની તૈયારી હોય, તો તમે પણ આર્થિક અને સામાજિક રીતે સ્વતંત્ર બની શકો છો.
