કનકપુરના ખેડૂત પ્રદિપભાઈની પ્રાકૃતિક ખેતીમાં અનોખી પહેલ
કચ્છની ખારી અને પથરાળ જમીનમાં ખેતી કરવી એ એક પડકાર છે, પરંતુ અબડાસા તાલુકાના કનકપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રદિપભાઈ ભીમજીભાઈ ડાયાણીએ આ પડકારને તકમાં બદલી નાખ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને તેમણે માત્ર ૩૦ એકર જમીનને નંદનવન જ નથી બનાવી, પરંતુ શેરડીના પાકમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવીને મૂલ્યવર્ધન (Value Addition) દ્વારા બમણી આવક મેળવવાનું ઈનોવેશન કર્યું છે. પ્રદિપભાઈની આ સફળતા આજે રાસાયણિક ખેતીથી કંટાળેલા હજારો ખેડૂતો માટે દીવાદાંડી સમાન બની છે.
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક કૃષિ સુધીની સફર
શરૂઆતના તબક્કે પ્રદિપભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી હતી અને ખર્ચમાં સતત વધારો થતો હતો. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન હેઠળ તાલીમ લીધા બાદ, તેમણે પરિવર્તન લાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. આજે તેઓ ૩૦ એકર વાડીમાં શેરડી, ઘઉં, બાજરી, પપૈયા અને શાકભાજી જેવા વિવિધ પાકો સંપૂર્ણપણે ઝેરમુક્ત પદ્ધતિથી પકવી રહ્યા છે.
ઘરઆંગણે તૈયાર થતા કુદરતી ખાતરો અને દવાઓ
પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા પ્રદિપભાઈ કહે છે કે, હવે તેમને બજારમાંથી મોંઘા ખાતરો કે દવાઓ ખરીદવી પડતી નથી. તેઓ જાતે જ નીચે મુજબના ઘટકો તૈયાર કરે છે:
-
જીવામૃત અને ગૌ-કૃપા અમૃત: જમીનમાં બેક્ટેરિયા અને સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધારે છે.
-
બીજામૃત: બિયારણને રોગમુક્ત કરવા માટેનો અકસીર ઈલાજ.
-
દશપર્ણી અર્ક: પાકને જીવાતોથી બચાવવા માટેનું કુદરતી જંતુનાશક. આ પદ્ધતિથી જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધી છે અને ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મળે છે.
ઈનોવેશન અને નિકાસ: શેરડીમાંથી ગોળ બનાવી મેળવ્યો બમણો નફો
પ્રદિપભાઈએ માત્ર ખેતી જ નથી કરી, પરંતુ તેમાં ‘વેલ્યુ એડિશન’નો નવતર પ્રયોગ પણ કર્યો છે. તેમણે ૭-૮ ખેડૂત મિત્રો સાથે મળીને કનકપુર ગામમાં જ ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે. પ્રાકૃતિક શેરડીમાંથી બનાવવામાં આવતા આ શુદ્ધ દેશી ગોળની માંગ આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સમગ્ર ગુજરાતમાં વધી છે. શેરડી વેચવા કરતા તેમાંથી ગોળ બનાવીને વેચવાથી તેમને સીધો ડબલ નફો મળી રહ્યો છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન
પ્રદિપભાઈ અન્ય ખેડૂતોને અનુરોધ કરતા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર આર્થિક ફાયદો નથી, પરંતુ મનુષ્ય અને પર્યાવરણની સુરક્ષા માટેનું પવિત્ર કાર્ય છે. ઝેરમુક્ત ખેતી દ્વારા આપણે જમીન, જળ અને આવનારી પેઢીના સ્વાસ્થ્યનું જતન કરી શકીએ છીએ. કચ્છના ખેડૂતો માટે પ્રદિપભાઈનું આ ‘કનકપુર મોડેલ’ અનુકરણીય સાબિત થયું છે.


