“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યપાલશ્રી દ્વારા ચાણપા ગામમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “એક પેડ મા કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે તેમણે ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, પોતાની માતાના નામે રોપવામાં આવેલું એક પણ વૃક્ષ કરમાવું ન જોઈએ. વૃક્ષોને માત્ર રોપવા પૂરતા મર્યાદિત ન રહેતા, તેની આસપાસ ફેન્સિંગ કરી નિયમિત જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. તેમણે વૃક્ષના ઉછેરને પુણ્ય સમાન ગણાવ્યું હતું.
પર્યાવરણની સાથે સામાજિક જવાબદારીનો પરિચય આપતા રાજ્યપાલશ્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જાતે શ્રમદાન કર્યું હતું. તેમણે સ્વયં હાથમાં ઝાડુ લઈ ગામની શેરીઓની સફાઈ કરી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ અને નિરોગી જીવન માટે આંગણું, શેરી અને સમગ્ર ગામને કચરામુક્ત રાખવું અનિવાર્ય છે. જ્યારે પ્રજા પોતે જાગૃત થઈને સફાઈમાં જોડાશે, ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર સ્વચ્છ બનશે.
આ કાર્યક્રમમાં ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. રાજ્યપાલશ્રીની આ સાદગી અને સેવાભાવનાએ ચાણપા ગામના લોકોમાં પર્યાવરણ પ્રત્યે નવી ચેતના જગાવી હતી.

