કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી જેવી ખુશી: મેડિકલ ક્લેમની મર્યાદા ૫ લાખથી વધારી ૧૦ લાખ કરાઈ.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારવાર બાદ હોસ્પિટલના બિલ પાસ કરાવવાની પ્રક્રિયા હંમેશા જટિલ અને સમય માંગી લે તેવી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ ઓફિસ મેમોરેન્ડમ (OM) જારી કર્યો છે. આ નવા નિયમો મુજબ, હવે મેડિકલ ક્લેમ માટે ઉચ્ચ કક્ષાના વિભાગોના આંટાફેરા મારવામાંથી કર્મચારીઓને મોટી રાહત મળશે.
₹૧૦ લાખ સુધીના દાવાઓ હવે સ્થાનિક સ્તરે જ પાસ થશે
નવા સુધારા મુજબ, હવે કોઈપણ મંત્રાલય કે વિભાગના વડા (HOD) સંકલિત નાણાં વિભાગ (IFD) ની પરામર્શ લીધા વિના સીધા જ ₹૧૦ લાખ સુધીના મેડિકલ ક્લેમને મંજૂરી આપી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર ₹૫ લાખ હતી. આનો અર્થ એ થયો કે જો તમારું બિલ ₹૧૦ લાખની અંદર છે, તો તેની ફાઈલ મંત્રાલય સ્તરે ઉચ્ચ અધિકારીઓ પાસે મોકલવાની જરૂર રહેશે નહીં અને સ્થાનિક સ્તરે જ નાણાં મંજૂર કરી દેવામાં આવશે.
સરકારે મૂકી છે બે મહત્વની શરતો
જોકે, આ ૧૦ લાખની મર્યાદાનો લાભ લેવા માટે સરકારે બે મુખ્ય શરતો પણ સ્પષ્ટ કરી છે: ૧. નિયમોમાં છૂટછાટ નહીં: તબીબી દાવામાં CGHS અથવા CS(MA) ના સ્થાપિત નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટની માંગણી હોવી જોઈએ નહીં. ૨. નિયત દરો મુજબ બિલ: વળતરની રકમ માત્ર CGHS અથવા CS(MA) દ્વારા નક્કી કરાયેલા દરો (Standard Rates) મુજબ જ હોવી જોઈએ.
જો કોઈ કર્મચારી ખાનગી હોસ્પિટલના વધુ પડતા ચાર્જ પર ડિસ્કાઉન્ટ કે વિશેષ છૂટછાટ ઈચ્છતા હોય, તો તેવી ફાઈલોએ અગાઉની જેમ જ ઉચ્ચ સ્તરે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરંતુ જો બિલ સરકારી ધારાધોરણો મુજબ હશે, તો તેની પતાવટ ખૂબ જ ઝડપથી થઈ જશે.
₹૫ લાખ સુધીના દાવાઓની ત્વરિત પતાવટ
મંત્રાલયે વધુ એક રાહત આપતા જણાવ્યું છે કે, જે કિસ્સાઓમાં કર્મચારી કોઈ વધારાની છૂટછાટ માંગતા નથી અને ચુકવણી સંપૂર્ણપણે CGHS દરો મુજબ સ્વીકારે છે, ત્યાં પતાવટ મર્યાદા (Settlement Limit) ₹૨ લાખથી વધારીને ₹૫ લાખ કરી દેવામાં આવી છે. આ પગલાથી મધ્યમ કદના મેડિકલ બિલો માટે કર્મચારીઓને રોકડની તંગીનો સામનો નહીં કરવો પડે.
કેવી રીતે અરજી કરવી? (પેન્શનરો માટે ખાસ)
પેન્શનરો માટે અરજી કરવાની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે. તેમણે સારવાર પૂર્ણ થયાના અથવા હોસ્પિટલમાંથી રજા મળ્યાના ૬ મહિનાની અંદર તેમના વેલનેસ સેન્ટરના CMO ને અરજી સબમિટ કરવાની રહેશે. અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવા અનિવાર્ય છે:
તબીબી વળતર દાવો (Medical Reimbursement Claim) ફોર્મ.
ડિસ્ચાર્જ સમરી અને હોસ્પિટલના ઓરિજિનલ બિલ્સ.
રેફરલ અથવા પરમિશન સ્લિપની નકલ.
કટોકટીના કિસ્સામાં ઇમરજન્સી સર્ટિફિકેટ.
માન્ય CGHS કાર્ડ અને બેંક વિગતો માટે કેન્સલ ચેક.
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સરકારે લીધેલો આ નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓના કલ્યાણ માટે મોટું કદમ છે. આનાથી માત્ર પેપરવર્ક ઘટશે એટલું જ નહીં, પરંતુ કર્મચારીઓને તેમની મહેનતની કમાણીના નાણાં પણ ઝડપથી પરત મળી શકશે.

