પાકિસ્તાનની હાર માટે માઇક હેસન જવાબદાર? મોહમ્મદ કૈફે ઉઠાવ્યા ગંભીર સવાલો

3 Min Read

પાકિસ્તાનના કોચ માઇક હેસન પર વરસી પડ્યા મોહમ્મદ કૈફ; ભારત સામેની હાર બાદ રણનીતિને ગણાવી ‘બિનઅનુભવી’

T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ભારત સામે પાકિસ્તાનની 61 રને થયેલી કારમી હાર બાદ હવે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ છેડાયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા વિશ્લેષક મોહમ્મદ કૈફે પાકિસ્તાની ટીમના હેડ કોચ માઇક હેસનની આકરી ટીકા કરી છે. કૈફે હેસનની રણનીતિ અને મેચ રીડિંગ પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, આટલો અનુભવ હોવા છતાં હેસન એશિયાની પિચો પર યોગ્ય વ્યૂહરચના ઘડવામાં નિષ્ફળ રહ્યા છે.

“શું ફ્રીમાં પગાર લઈ રહ્યા છો?” – કૈફનો આકરો પ્રહાર

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા મોહમ્મદ કૈફે પાકિસ્તાની ટીમના મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી હતી. કૈફે ખાસ કરીને માઇક હેસન પર નિશાન સાધતા કહ્યું કે, “ભારત સામે સલમાન અલી આગ્હાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી, જે એક મોટી ભૂલ હતી. હાર બાદ તેમણે નમીબિયા સામે બેટિંગનો નિર્ણય લીધો. આગ્હાની ભૂલ સમજી શકાય છે કારણ કે આ તેમનો પ્રથમ વર્લ્ડ કપ છે, પરંતુ હેસન શું કરી રહ્યા છે? તેઓ આખા વિશ્વમાં અને આઈપીએલ (IPL) ટીમોમાં કોચિંગ કરી ચૂક્યા છે, તેમ છતાં આ ધીમી પિચ પર તેમને પ્લેઈંગ કન્ડિશનની સમજ નથી? શું તમે ત્યાં ફ્રીમાં પગાર લેવા ગયા છો?”

- Advertisement -

paki11.jpg

કૈફે ઉમેર્યું કે, જ્યારે પિચ સ્પિનરોને મદદ કરી રહી હતી, ત્યારે પાકિસ્તાની મેનેજમેન્ટે તેના મુખ્ય હથિયારોનો યોગ્ય ઉપયોગ કર્યો નહોતો.

- Advertisement -

રણનીતિક ભૂલો: ઉસ્માન તારિક અને અબ્રારનો ખોટો ઉપયોગ

મેચના વિશ્લેષણ દરમિયાન કૈફે પાકિસ્તાની બોલિંગ ફેરફારોમાં રહેલી ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને ઉસ્માન તારિક અને અબ્રાર અહેમદના સ્પેલ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કૈફના મતે, અબ્રારને પાવર-પ્લેમાં લાવીને તેને રન ખાવા માટે મજબૂર કરાયો અને જ્યારે તે મોંઘો સાબિત થયો ત્યારે તેને તરત જ હટાવી દેવાયો.

બીજી તરફ, ઉસ્માન તારિક અંગે કૈફે જણાવ્યું કે, “તમે સ્પિનરને 10મી ઓવર પછી મેદાનમાં લાવ્યા. પાવર-પ્લે પછી તરત જ સ્પિનરોએ હુમલો કરવાની જરૂર હતી. આટલો પ્રચાર અને દબાણ હોવા છતાં ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું. કોચની ભૂમિકા નિર્ણાયક હોય છે, પરંતુ અહીં કોચિંગ સ્ટાફે ખોટી સલાહ આપી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.”

paki.jpg

- Advertisement -

આગ્હાનું નેતૃત્વ અને કોચનું માર્ગદર્શન

સલમાન અલી આગ્હાની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાની ટીમ આ વર્લ્ડ કપમાં નવા પ્રયોગો કરી રહી છે, પરંતુ કૈફ માને છે કે યુવા કેપ્ટનને અનુભવી કોચની વધુ જરૂર હતી. “આ પિચ પર શું કરવું તે માઇક હેસન જેવા અનુભવી કોચને ખબર હોવી જોઈએ. ખેલાડીઓ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં પહેલેથી જ તાણમાં હતા, તેવામાં કોચની રણનીતિ વધુ સ્પષ્ટ હોવી જોઈતી હતી,” એમ કૈફે ઉમેર્યું.

પાકિસ્તાન માટે હવે સુપર-8માં ‘કરો અથવા મરો’ની સ્થિતિ

ભારત સામેની શરમજનક હાર બાદ હવે પાકિસ્તાનની ટીમ ગ્રુપ-Bમાં શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પાકિસ્તાનનો આગામી મુકાબલો 21 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. જો પાકિસ્તાન આ મુકાબલામાં પણ હારશે, તો સેમિફાઈનલની રેસમાંથી બહાર ફેંકાવાનું જોખમ વધી જશે.

Share This Article