તાપી જિલ્લાના બાબરઘાટમાં પલાશ પર્વ 2026નું આયોજન, આદિવાસી લોકકલા અને પરંપરાનો અનોખો મેળાવડો
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન “પલાશ પર્વ–2026” ની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા આ મહોત્સવમાં આદિવાસી સમાજની ભવ્ય વિરાસત, પ્રાચીન વાદ્યકળા અને પરંપરાગત ખાનપાનનું અદભૂત પ્રદર્શન જોવા મળશે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ
બે દિવસીય આ મહોત્સવમાં ગુજરાતના વિવિધ આદિવાસી નૃત્યો અને કલાઓની પ્રસ્તુતિ કરવામાં આવશે:
-
પ્રથમ દિવસ: હોળી નૃત્ય, ડાંગી નૃત્ય અને પરંપરાગત રાસના આયોજન સાથે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે.
-
બીજો દિવસ: પાવરી નૃત્ય, રાઠવા હોળી નૃત્ય અને ખેડૂત નૃત્યની સાથે શૌર્યના પ્રતીક સમાન તલવાર નૃત્ય વિશેષ આકર્ષણ જમાવશે.
-
વિશેષ પ્રસ્તુતિ: આફ્રિકન મૂળની સંસ્કૃતિ ધરાવતા સીદીઓનું પ્રખ્યાત ‘ધમાલ નૃત્ય’ પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.
પરંપરાગત વાનગીઓ અને વાદ્યકળા
આ ઉત્સવ માત્ર નૃત્ય પૂરતો મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલી આદિવાસી જીવનશૈલીને પણ ઉજાગર કરશે. પ્રવાસીઓને આદિવાસીઓના પરંપરાગત સંગીત વાદ્યો અને શુદ્ધ દેશી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ પર્વનો મુખ્ય હેતુ લુપ્ત થતી આદિવાસી પરંપરાઓનું જતન અને સંવર્ધન કરવાનો છે.

