સલીમ હવે ‘સુરેશ’ બનીને છેતરી નહીં શકે! મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો કરી રહી છે ગુજરાત સરકાર
ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ‘લવ જેહાદ’ જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટું અને મક્કમ ડગલું ભર્યું છે. શુક્રવારે વિધાનસભામાં ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006’ માં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ, હવેથી પ્રેમ લગ્ન (Love Marriage) ના કિસ્સામાં લગ્નની નોંધણી માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો તર્ક છે કે આ પગલાથી ઓળખ છુપાવીને યુવતીઓને ફસાવનારા તત્વો પર કાયદાકીય ગાળિયો કસાશે.
ઓળખ છુપાવી છેતરપિંડી કરનારાઓને પાઠ ભણાવાશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જો કોઈ ‘સલીમ’ પોતાની ઓળખ છુપાવી ‘સુરેશ’ બનીને માસૂમ દીકરીઓને ફસાવશે, તો તેને આજીવન યાદ રહે તેવો સખત પાઠ ભણાવવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે સરકાર પ્રેમ લગ્નની વિરોધી નથી, પરંતુ જે રીતે ઓળખ છુપાવીને સનાતન ધર્મની દીકરીઓની ગરિમા સાથે રમત રમાઈ રહી છે, તેની સામે આ એક મજબૂત કવચ સાબિત થશે.
પંચમહાલ અને અન્ય જિલ્લાના કિસ્સાઓનો ઉલ્લેખ
હર્ષ સંઘવીએ વિધાનસભામાં પંચમહાલ જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે વિસ્તારોમાં એક પણ મુસ્લિમ રહેવાસી કે મસ્જિદ નથી, ત્યાંથી પણ સેંકડો નિકાહ સર્ટિફિકેટ જારી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, નવસારી અને મહેસાણા જિલ્લામાં પણ ઓળખ છુપાવીને લગ્ન કરવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેના કારણે આ કાયદામાં સુધારો કરવો સાર્વજનિક હિત માટે અનિવાર્ય બની ગયો છે.
શું હશે નવી પ્રક્રિયા અને વોટ્સએપ મેસેજની સુવિધા?
પ્રસ્તાવિત સુધારા મુજબ, લગ્નની નોંધણીની પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને કડક બનશે:
- માતા-પિતાની જાણકારી: લગ્નની નોંધણી માટે અરજી કર્યા બાદ વર-કન્યાના માતા-પિતાને સત્તાવાર રીતે વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
- 10 દિવસનો સમય: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસેથી કન્ફર્મેશન મળ્યાના 10 કામકાજના દિવસોમાં વાલીઓને ઇલેક્ટ્રોનિક અથવા ફિઝિકલ માધ્યમથી જાણ કરવામાં આવશે.
- નોંધણીનો સમય: લગ્નની સંપૂર્ણ નોંધણી પ્રક્રિયામાં ઓછામાં ઓછો 30 દિવસનો સમય લાગશે, જેથી કોઈ ઉતાવળમાં કે છેતરાઈને ખોટું પગલું ન ભરે.
લોકઅભિપ્રાય માટે 30 દિવસની મુદત
સરકારે આ પ્રસ્તાવિત ફેરફારો પર જનતાના સૂચનો અને ભલામણો મંગાવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. આ સૂચનોની સમીક્ષા કરવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે અને લગ્નની નોંધણી માટે એક સમર્પિત પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) અને અન્ય સંગઠનોએ પણ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

