સ્વદેશી ઉત્પાદનોને મજબૂત પ્લેટફોર્મ: ગુજરાતમાં શોપિંગ ફેસ્ટિવલથી કરોડોનું વેચાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને બેઠા કરવા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’ અને ‘જી-મૈત્રી’ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક કલાને નવી ઓળખ મળી રહી છે. આ કડીમાં હવે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યભરમાં ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી નાના વેપારીઓને મોટું પ્લેટફોર્મ મળી શકે.
૧૫૨ નગરપાલિકાઓમાં ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
રાજ્ય સરકારે આગામી ૧૫ માર્ચ ૨૦૨૬ સુધીમાં ગુજરાતની તમામ ૧૫૨ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા યોજવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મેળાઓમાં સ્વસહાય જૂથો (SHG) માટે ૧૫૦૦ થી વધુ સ્ટોલ, શેરી ફેરિયાઓ માટે ૧૪૦૦ થી વધુ અને ખાણીપીણીના શોખીનો માટે ૧૨૦૦ જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ આયોજનથી સ્થાનિક કારીગરોને પોતાની ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવાની ઉત્તમ તક મળશે, જે ગત વર્ષે દશેરા-દિવાળી દરમિયાન થયેલા ₹૧૦ કરોડના સફળ વેચાણની પરંપરાને આગળ વધારશે.
૩૮ નગરપાલિકાઓમાં મેળાઓ શરૂ, લાખોનું વેચાણ નોંધાયું
અત્યાર સુધીમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના ઝોનની ૩૮ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ટૂંકા ગાળામાં જ ૧ લાખથી વધુ લોકોએ આ મેળાઓની મુલાકાત લીધી છે અને ₹૮૩ લાખથી વધુનું વેચાણ થયું છે. નાગરિકોનો આ ઉત્સાહ દર્શાવે છે કે લોકો હવે હોંશે-હોંશે સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે. આ મેળાઓ માત્ર ખરીદી માટે જ નહીં, પણ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટેનો એક મહત્વનો પ્રયાસ છે.
વિકસિત ભારતના નિર્માણ માટે આત્મનિર્ભરતાનો માર્ગ
વડાપ્રધાનના મતે સ્વદેશી અપનાવવું એ વિકસિત ભારત તરફ જવાનો સાચો રસ્તો છે. ગુજરાત સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે રાજ્યનો દરેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો સાચો વાહક બને. આ શોપિંગ ફેસ્ટિવલના માધ્યમથી સ્થાનિક કલાકારોની મહેનતને યોગ્ય વળતર મળી રહ્યું છે અને લોકોને શુદ્ધ સ્વદેશી વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થઈ રહી છે. સરકારના આ પ્રયાસોથી આવનારા સમયમાં ગુજરાતના નાના કારીગરો વૈશ્વિક સ્તરે ચમકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
