ઈરાનમાં માનવતા શરમાઈ! છોકરીઓની શાળા પર ભીષણ હુમલો, મૃત્યુઆંક વધીને 40 થયો, માસૂમોની ચીસોથી ધ્રૂજ્યું તેહરાન
ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના મીનાબ શહેરમાં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોટું નુકસાન થયું છે. ઈરાની સમાચારના જણાવ્યા અનુસાર, એક કન્યા શાળા પર થયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીનાબ શહેરમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડનો બેઝ હોવાનું કહેવાય છે, પરંતુ શાળા પરના હુમલાએ માનવીય સંકટ ઊભું કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાની જનતાને અપીલ: ‘તમારી સરકાર પર કબજો કરો’
શનિવારે ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ટ્રમ્પે ઈરાની જનતાને સંબોધતા કહ્યું કે, “જ્યારે અમારું ઓપરેશન પૂરું થાય, ત્યારે તમે તમારી સરકાર પર કબજો કરી લેજો. તે તમારી હશે.” ટ્રમ્પે આરોપ લગાવ્યો કે છેલ્લા 47 વર્ષથી ઈરાની શાસન ‘અમેરિકાનું મૃત્યુ’ ના નારા લગાવી રહ્યું છે અને નિર્દોષોનું લોહી વહાવી રહ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને ઈઝરાયેલ હવે ઈરાનમાં શાસન પરિવર્તન ઈચ્છી રહ્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર અને પડોશી દેશોમાં તણાવ
આ હુમલાના જવાબમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલોની ‘પ્રથમ લહેર’ છોડી દીધી છે. સમગ્ર ઈઝરાયેલમાં સાયરોન વાગી રહ્યા છે અને સેના હાઈ એલર્ટ પર છે. યુદ્ધની આ જ્વાળાઓ હવે ઈરાન-ઈઝરાયેલની બહાર પણ ફેલાઈ રહી છે:
- બહેરીન: અહીં આવેલા અમેરિકી નૌકાદળના 5મા કાફલાના મુખ્ય મથક પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.
- કુવૈત અને કતાર: આ દેશોમાં પણ વિસ્ફોટો અને સાયરોનનો અવાજ સાંભળવા મળ્યો છે.
- UAE: સંયુક્ત આરબ અમીરાતની રાજધાનીમાં થયેલા હુમલાના કાટમાળથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે.
હવાઈ માર્ગો બંધ અને હૂતી વિદ્રોહીઓની ધમકી
યુદ્ધને કારણે ઈરાક અને સંયુક્ત આરબ અમીરાતે પોતાનો હવાઈ માર્ગ (Airspace) બંધ કરી દીધો છે. બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પણ લાલ સમુદ્રમાં જહાજો પર અને ઈઝરાયેલ પર હુમલા તેજ કરવાની શપથ લીધી છે. આનાથી વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલના પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે.
ઈરાનનું વલણ: ‘માતૃભૂમિની રક્ષાનો સમય આવી ગયો છે’
ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, ઈરાન વળતો પ્રહાર કરવામાં જરા પણ ખચકાશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે હવે માતૃભૂમિની રક્ષા કરવાનો અને દુશ્મનના સૈન્ય હુમલાનો સામનો કરવાનો સમય પાકી ગયો છે.

