આધુનિક ટેકનોલોજી અને યોગ્ય બજાર વ્યવસ્થાપનથી યુવાન ખેડૂત બન્યા સ્માર્ટ ખેડૂત
ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને વાવેતરથી લઈને બજાર સુધી મદદ પૂરી પાડવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નવી ટેકનોલોજી અને પ્રોસેસિંગ દ્વારા ખેતીને નફાકારક બનાવવાના આ પ્રયાસો વડોદરા જિલ્લામાં સચોટ રીતે અમલી બન્યા છે. વડોદરાના છાણી ગામના યુવાન ખેડૂત હિતેશભાઈ પટેલ આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે. તેઓ સાકરદા ગામે ૨૫ વીંઘા જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને એક “સ્માર્ટ ખેડૂત” તરીકે ઉભરી આવ્યા છે.
હળદરનું મૂલ્યવર્ધન: પ્રોસેસિંગ દ્વારા બમણી કમાણી
હિતેશભાઈ પપૈયા, બટાકા અને કેળની સાથે ખાસ કરીને હળદરની ખેતી પર ભાર મૂકે છે. તેઓ માત્ર હળદર પકવતા જ નથી, પરંતુ તેને ઉકાળી, સુકવી અને પ્રોસેસિંગ કરીને પાવડર બનાવે છે. બાગાયત ખાતાની મદદથી તેમણે પ્રોસેસિંગ મશીન પર ૫૦ ટકા સબસિડી મેળવી છે. આ મશીન દ્વારા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત હળદર પાવડર તૈયાર કરીને તેઓ બજારમાં પોતાની બ્રાન્ડ બનાવી રહ્યા છે. હળદરના આ મૂલ્યવર્ધનથી તેઓ વીંઘા દીઠ ૫૦ થી ૬૦ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.
બટાકાની ખેતી અને સ્ટોરેજ દ્વારા બજાર વ્યવસ્થાપન
હિતેશભાઈ દર વર્ષે મોટા પાયે “લોકર બટાકા”નું વાવેતર પણ કરે છે. તેઓ એક વીંઘામાંથી ૨૦૦ થી ૨૫૦ મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવે છે. ખેતીમાં નફો મેળવવાની તેમની રણનીતિ અનોખી છે; જ્યારે બજારમાં બટાકાના ભાવ ઓછા હોય, ત્યારે તેઓ ઉતાવળે વેચાણ કરવાને બદલે પાકને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરે છે. જ્યારે બજારમાં સારા ભાવ મળે ત્યારે જ તેઓ પાક વેચે છે. આ પ્રકારનું સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાપન તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવે છે.
જૈવિક ખેતી અને ટેકનોલોજીનો સમન્વય
ખેતીમાં રાસાયણિક દવાઓના બદલે હિતેશભાઈ દિવેલીયું અને છાણિયા ખાતર જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે. આનાથી જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને પાકની ગુણવત્તા પણ સુધરે છે. તેમનું માનવું છે કે ખેડૂતે માત્ર ઉત્પાદન પર જ નહીં, પણ મૂલ્યવર્ધન અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન આપવું જોઈએ. ટેકનોલોજી અને જૈવિક ખેતીના આ સમન્વયથી તેઓ આજે અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.

