“જય શાહ અને અજિત અગરકરે આપ્યો સાથ”: મુશ્કેલ સમયમાં મળેલી મદદને ગંભીરે યાદ કરી, ટીકાકારોને આપ્યો જવાબ
ભારતે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને ૯૬ રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક વિજય પછી ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, ત્યારે તેમનો અંદાજ હંમેશની જેમ આક્રમક અને સ્પષ્ટ હતો. ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ કે ટીકાઓથી પ્રભાવિત થતા નથી.
“મારી જવાબદારી ડ્રેસિંગ રૂમના ૩૦ લોકો પ્રત્યે છે”
સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અને ટ્રોલિંગ અંગે પૂછવામાં આવતા ગંભીરે બેબાક રીતે કહ્યું, “મારી જવાબદારી સોશિયલ મીડિયા પર બેઠેલા લોકો પ્રત્યે નથી. મારી જવાબદારી ચેન્જિંગ રૂમમાં રહેલા તે ૩૦ લોકો પ્રત્યે છે જેઓ ભારત માટે લોહી-પરસેવો એક કરે છે. કોચ ક્યારેય ટીમ બનાવતો નથી, પરંતુ ટીમ અને ખેલાડીઓ જ વ્યક્તિને કોચ બનાવે છે. આજે હું જે કંઈ પણ છું તે મારા ખેલાડીઓના પ્રદર્શનને કારણે છું.”
રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણને જીત સમર્પિત
ગૌતમ ગંભીરે આ જીતનો શ્રેય પોતે લેવાને બદલે પૂર્વ કોચ રાહુલ દ્રવિડ અને NCA ના વડા VVS લક્ષ્મણને આપ્યો હતો. તેમણે કહ્યું, “હું આ ટ્રોફી રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણને સમર્પિત કરું છું. રાહુલ ભાઈએ આ ટીમને જે સ્તરે લાવીને મને સોંપી છે તેનો આભાર માનું છું, અને લક્ષ્મણે જે રીતે બેકસ્ટેજ રહીને ખેલાડીઓની નવી પેઢી તૈયાર કરી છે, તેના વિના આ જીત શક્ય નહોતી.”
વ્યક્તિગત સિદ્ધિઓ સામે વાંધો
ગંભીરે ભારતીય ક્રિકેટ સંસ્કૃતિમાં રહેલી એક જૂની આદત પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે વિનંતી કરી કે, “આપણે વર્ષોથી વ્યક્તિગત સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યા છીએ, હવે તે બંધ કરવું જોઈએ. અંતિમ ધ્યેય હંમેશા ટીમ માટે ટ્રોફી જીતવાનો હોવો જોઈએ, કોઈ રેકોર્ડ બનાવવાનો નહીં. જ્યારે ટીમ જીતે છે ત્યારે આખો દેશ જીતે છે.”
સૂર્યકુમાર યાદવ સાથેની મિત્રતા
કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે વાત કરતા ગંભીરે રમૂજી અને આદરપૂર્વક કહ્યું કે સૂર્યાએ તેમનું કામ ખૂબ સરળ બનાવી દીધું છે. બીજી તરફ, સૂર્યકુમારે પણ ગંભીર સાથેની તેમની મિત્રતા વિશે જણાવ્યું કે, “અમે KKR માં ચાર વર્ષ સાથે કામ કર્યું છે. અમારો ઉદ્દેશ્ય હંમેશા જીતવાનો રહ્યો છે, તેથી જ અમારી વચ્ચે ક્યારેય વિવાદ થયો નથી. ગૌતમ ભાઈ બે ડગલાં આગળ વધે છે, તો હું બે ડગલાં સામે ચાલું છું.”
પસંદગીકારો અને જય શાહનો આભાર
ગૌતમ ગંભીરે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના વખાણ કરતા કહ્યું કે તેમણે ઘણી ખોટી ટીકાઓ સહન કરી છે છતાં પ્રામાણિકતાથી ટીમ પસંદ કરી. સાથે જ તેમણે ICC પ્રમુખ જય શાહનો પણ આભાર માન્યો કે જેઓએ ગંભીરના સૌથી ખરાબ સમયમાં તેમને ફોન કરીને હિંમત આપી હતી.
ગૌતમ ગંભીરની આ પ્રેસ કોન્ફરન્સે સાબિત કરી દીધું છે કે ભલે ભારત વિશ્વ વિજેતા બન્યું હોય, પણ મુખ્ય કોચ હજુ પણ શિસ્ત અને ટીમ ગેમ પર ભાર મૂકવા માંગે છે. ગંભીરનો આ ‘ગંભીર’ અંદાજ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવું ચોક્કસપણે કહી શકાય.

