કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વલ્લભ વિદ્યાનગર PHC ખાતે HPV રસીકરણ કામગીરીની સમીક્ષા કરી
ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગંભીર બીમારી સામે રક્ષણ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી એચ.પી.વી. (HPV) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષની કિશોરીઓને આ જીવલેણ બીમારી સામે સુરક્ષિત કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ ઝુંબેશ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દીકરીઓના ભવિષ્યને સ્વાસ્થ્યની ભેટ આપવાનો છે.
જિલ્લા કલેક્ટર દ્વારા રસીકરણ કામગીરીની સમીક્ષા
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વલ્લભ વિદ્યાનગર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને રસીકરણ અભિયાનની જાતે સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત ૧૪ વર્ષની દીકરીઓને રસી મૂકવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખનું કેન્સર એ અટકાવી શકાય તેવી બીમારી છે અને આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત તથા અસરકારક છે. તેમણે વાલીઓને કોઈ પણ પ્રકારની નકારાત્મક અફવાઓ પર ધ્યાન ન આપીને પોતાની દીકરીઓને આ રસી અપાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
આણંદ જિલ્લામાં રસીકરણના લક્ષ્યાંકો અને સુવિધાઓ
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૭,૭૮૭ કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં ૫,૪૯૮ ડોઝની ફાળવણી સાથે કામગીરી ચાલી રહી છે, જેમાંથી ૧૧૩૬ કિશોરીઓનું રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત આ ‘ગાર્ડાસિલ’ રસી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. રસીની ગુણવત્તા જાળવવા માટે તમામ કેન્દ્રો પર કોલ્ડ સ્ટોરેજની અદ્યતન સુવિધા અને આઇસ લાઇન રેફ્રિજરેટરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
પારદર્શક પ્રક્રિયા અને વાલીઓનો સહયોગ
શાળાઓમાં અભ્યાસ કરતી કિશોરીઓ માટે આર.બી.એસ.કે. (RBSK) ટીમ દ્વારા વિશેષ વાલી સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. રસીકરણ પૂર્વે વાલીઓની લેખિત સંમતિ મેળવવી અનિવાર્ય છે, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય. સમગ્ર રસીકરણ પ્રક્રિયાનું મોનિટરિંગ નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે અને તેની ઓનલાઇન નોંધણી ‘ટેકો+’ પોર્ટલ પર કરવામાં આવે છે. સમાજના અગ્રણીઓ અને શાળા સંચાલકોને પણ આ રક્ષણાત્મક કાર્યમાં જોડાઈને કિશોરીઓને કેન્સર મુક્ત જીવન આપવાના આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

