સરદારકૃષિનગર પશુ ચિકિત્સા મહાવિદ્યાલય દ્વારા પશુપાલકોને માસ્ટાઇટિસ રોગ અને પશુ સંભાળ અંગે માર્ગદર્શન
દાંતીવાડા તાલુકાના લાખણાસણ ગામે પશુપાલકોમાં વૈજ્ઞાનિક જ્ઞાન વધારવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સરદારકૃષિનગર સ્થિત પશુ ચિકિત્સા મહાવિદ્યાલયના વિવિધ વિભાગોના સહયોગથી આયોજિત આ પરિસંવાદમાં ૫૦થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકોને પરંપરાગત પદ્ધતિઓને બદલે આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો, જેથી તેઓ પશુપાલન વ્યવસાયમાં વધુ પ્રગતિ કરી શકે.
એન્ટીબાયોટિકના વધુ પડતા ઉપયોગ સામે જાગૃતિ
આ પરિસંવાદમાં નિષ્ણાતોએ પશુઓમાં એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પશુઓમાં દવાઓનો વધુ પડતો ઉપયોગ ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ’ જેવી ગંભીર સમસ્યાઓ પેદા કરે છે, જે માત્ર પશુઓ માટે જ નહીં પણ દૂધ દ્વારા મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ બની શકે છે. પશુપાલકોને સમજાવવામાં આવ્યું હતું કે રોગોની મોંઘી સારવાર કરવા કરતાં પશુઓની યોગ્ય માવજત અને સ્વચ્છતા રાખવી એ આર્થિક રીતે વધુ ફાયદાકારક છે.
ગળિયા રોગનું નિવારણ અને પ્રાયોગિક નિદર્શન
કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને આર્થિક રીતે મોટું નુકસાન કરતા ‘ગળિયા’ (માસ્ટાઇટિસ) રોગ વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ આ રોગના લક્ષણો અને તેના નિદાનની પદ્ધતિઓ સરળ ભાષામાં સમજાવી હતી. આ ઉપરાંત, દૂધ દોહન સમયે રાખવાની સ્વચ્છતા અને દોહન પ્રક્રિયા બાદ પશુના બાવલાની સફાઈ કેવી રીતે કરવી તેનું પ્રાયોગિક નિદર્શન પણ આપવામાં આવ્યું હતું. ‘ડોરસ્ટેપ માસ્ટાઇટિસ પ્રિવેન્શન’ની આ રીત અપનાવીને પશુપાલકો દૂધની ગુણવત્તા જાળવી શકે છે અને પશુને બીમાર પડતા બચાવી શકે છે.
પશુ આહાર અને માવજત અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન
પરિસંવાદના અંતે નિષ્ણાત તબીબો ડો. જે. એચ. પટેલ, ડો. સી. એમ. મોદી અને ડો. એચ. એ. પટેલે પશુપાલકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પશુપાલકોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના જવાબો આપીને તેમની મૂંઝવણો દૂર કરવામાં આવી હતી. પશુઓને કેવો આહાર આપવો, તેમની દૈનિક સંભાળ કેવી રીતે રાખવી અને બીમારીના સમયે જવાબદારીપૂર્વક દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પાયાનું શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રકારના આયોજનથી પશુપાલકોમાં જ્ઞાનની સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
