પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ એક્શનમાં: DGP સહિત 4 IPS અધિકારીઓની બદલી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવ પર પણ ગાજ
પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે જ ભારતીય ચૂંટણી પંચ (ECI) સંપૂર્ણ રીતે સક્રિય મોડમાં આવી ગયું છે. રાજ્યમાં નિષ્પક્ષ અને ભયમુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે આયોગે વહીવટીતંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા બાદ હવે પંચે 4 વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં જ ખાતરી આપી હતી કે બંગાળમાં આ વખતે ચૂંટણી હિંસામુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે.
પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: નવા અધિકારીઓની નિમણૂક
ચૂંટણી પંચે બંગાળ સરકારને તાત્કાલિક અસરથી ચાર વરિષ્ઠ IPS અધિકારીઓની નવી નિમણૂક કરવા સૂચના આપી છે. આ ફેરફાર હેઠળ સિદ્ધ નાથ ગુપ્તા (IPS 1992) ને પશ્ચિમ બંગાળના ડાયરેક્ટર જનરલ અને ઇન્ફોર્મેશન એન્ડ પોલીસ ચીફ (ઇન્ચાર્જ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, નટરાજન રમેશ બાબુ (IPS 1991) ને ડાયરેક્ટર જનરલ (કરેક્શનલ સર્વિસીસ) અને અજય મુકુંદ રાનાડે (IPS 1995) ને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (લો એન્ડ ઓર્ડર) ની જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મહત્વની નિમણૂક કોલકાતાના પોલીસ કમિશનર તરીકે અજય કુમાર નંદ (IPS 1996) ની કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓએ 16 માર્ચ સુધીમાં પોતાનો કાર્યભાર સંભાળી રિપોર્ટ સોંપવાનો રહેશે.
વહીવટી તંત્રના ટોચના બે IAS અધિકારીઓની હકાલપટ્ટી
પોલીસ અધિકારીઓ પહેલા રવિવારે મોડી રાત્રે (15 માર્ચ, 2026) ચૂંટણી પંચે મમતા બેનર્જી સરકારના બે સૌથી પ્રભાવશાળી સનદી અધિકારીઓ સામે પણ પગલાં લીધા હતા. રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી ને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને ચૂંટણી સંબંધિત કોઈ પણ કામગીરીથી દૂર રાખવા નિર્દેશ આપ્યો છે. તેમના સ્થાને 1993 બેચના IAS દુષ્યંત નારિયાલા ને નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ગૃહ સચિવ જગદીશ પ્રસાદ મીણા ને પણ પદમુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને 1997 બેચના IAS અધિકારી સંઘમિત્રા ઘોષ ને ગૃહ અને પહાડી બાબતોના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંચના આ આકરા વલણથી રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

