બાબર, શાહીન કે રિઝવાન સમસ્યા નથી: પાકિસ્તાન ક્રિકેટમાં ટેલેન્ટની ભારે અછત, ભારત સામેનો તફાવત સ્પષ્ટ દેખાયો
બાંગ્લાદેશ સામે વનડે શ્રેણીમાં મળેલી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એકવાર આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી પાકિસ્તાનના દિગ્ગજો બાબર આઝમ કે રિઝવાન જેવા વરિષ્ઠ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માંગ કરતા હતા, પરંતુ આ શ્રેણીએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનની અસલી સમસ્યા ખેલાડીઓ નહીં, પણ પ્રતિભાશાળી યુવાનોની ભારે અછત છે.
‘નવી-નવેલી’ ટીમની પોલ ખુલી ગઈ
T20 વર્લ્ડ કપ 2026 ના ખરાબ પ્રદર્શન બાદ શાહિદ આફ્રિદી અને મોહમ્મદ યુસુફ જેવા પૂર્વ ખેલાડીઓએ યુવા લોહીને ટીમમાં સામેલ કરવાની સલાહ આપી હતી. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં બાબરે આરામ લીધો (કે તેને પડતો મૂકાયો) અને છ અનકેપ્ડ (જેમણે આંતરરાષ્ટ્રીય મેચ ન રમી હોય તેવા) ખેલાડીઓને તક આપવામાં આવી. અબ્દુલ સમદ, માઝ સદાકત અને સાદ મસૂદ જેવા યુવાનો પાસે પોતાની ક્ષમતા સાબિત કરવાની સુવર્ણ તક હતી, પરંતુ આખી શ્રેણીમાં પાકિસ્તાની બેટિંગ અને બોલિંગ બંને નિષ્ફળ સાબિત થયા.
પ્રથમ વનડેમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સદાકત અલી અને શમીલ હુસૈન જેવા યુવાનોના બેટ શાંત રહ્યા. જો સલમાન અલી આગાએ ત્રીજી મેચમાં સદી ન ફટકારી હોત, તો પાકિસ્તાનની હાર વધુ શરમજનક હોત. આ પ્રદર્શન દર્શાવે છે કે પાકિસ્તાન પાસે બેન્ચ સ્ટ્રેન્થનો ભારે અભાવ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આસમાન-જમીનનો તફાવત
ભારતની સરખામણીમાં પાકિસ્તાન પાસે ખેલાડીઓના વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે. ભારતમાં એક ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા આરામ લે, તો તેની જગ્યા લેવા માટે પાંચ તૈયાર ખેલાડીઓ લાઈનમાં હોય છે. પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે ખરાબ ફોર્મ હોવા છતાં બાબર આઝમને ત્રણેય ફોર્મેટમાં રમાડવો પડે છે, કારણ કે તેમની પાસે કોઈ મજબૂત વિકલ્પ જ નથી.
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સાદ મસૂદ જેવા ખેલાડીને માત્ર ચાર લિસ્ટ-એ મેચો રમીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળી ગયું. ભારતીય સિસ્ટમમાં કોઈ ખેલાડી આટલા ઓછા અનુભવ સાથે ટીમમાં આવે તેની કલ્પના પણ કરી શકાતી નથી. પાકિસ્તાની યુવા ખેલાડીઓમાં પ્રતિભા તો દેખાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ સહન કરવાની ક્ષમતાનો અભાવ વર્તાય છે.
ઘરેલું ક્રિકેટના માળખામાં અસ્થિરતા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં જ્યારે પણ કોઈ નવો પ્રમુખ આવે છે, ત્યારે તે આખું ઘરેલું ફોર્મેટ બદલી નાખે છે. આ અસ્થિરતાને કારણે ખેલાડીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત રહે છે. બીજી તરફ, ભારતમાં દલીપ ટ્રોફી કે રણજી ટ્રોફી જેવું માળખું દાયકાઓથી સ્થિર છે, જે વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરે છે.
પાકિસ્તાન માટે બીજી મોટી ચિંતા એ છે કે તેમનું આખું ધ્યાન ભારત સાથે વહીવટી સ્પર્ધા કરવામાં રહે છે. બોર્ડની અંદર રાજકારણ અને વારંવાર બદલાતી કપ્તાનીએ (બાબર થી શાહીન, અને પછી રિઝવાન) ટીમની એકતા તોડી નાખી છે.

