બેંકિંગ નિયમમાં ક્રાંતિકારી ફેરફાર: ખાતાધારકોને મળ્યા વધુ અધિકાર, હવે વારસદારો નક્કી કરવા થશે સરળ.
ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. લાખો બેંક ગ્રાહકો માટે હવે પોતાના ખાતામાં વારસદારની નિમણૂક કરવી વધુ સરળ અને સુરક્ષિત બનશે. ‘બેંકિંગ નિયમન (સુધારા) અધિનિયમ 2025’ હેઠળ હવે ખાતાધારકો એકને બદલે મહત્તમ ચાર નોમિની (Nominee) ના નામ ઉમેરી શકશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકોમાં વધી રહેલી ‘અનક્લેમ્ડ ડિપોઝિટ’ (Unclaimed Deposit) ની સમસ્યાને ડામવાનો અને ગ્રાહકોના પરસેવાની કમાણી તેમના સાચા વારસદારો સુધી પહોંચાડવાનો છે.
શું છે અનક્લેમ્ડ ડિપોઝિટ અને કેમ તે ચિંતાનો વિષય છે?
સરકારના જણાવ્યા અનુસાર, જો કોઈ સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ સતત 10 વર્ષ સુધી નિષ્ક્રિય રહે અથવા કોઈ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મેચ્યોર થયાના 10 વર્ષ સુધી ક્લેમ કરવામાં ન આવે, તો તેને ‘અનક્લેમ્ડ ડિપોઝિટ’ માનવામાં આવે છે. આ રકમ બેંકો દ્વારા રિઝર્વ બેંકના ‘ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ’ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ રકમમાં સૌથી મોટો હિસ્સો સરકારી બેંકોનો છે. 2025 ના આંકડા મુજબ, વગર દાવા વગરના નાણાંમાં જાહેર ક્ષેત્રની બેંકોની ભાગીદારી આશરે 74.18% જેટલી ઊંચી છે.
ઘણીવાર એવું બને છે કે ખાતાધારકના મૃત્યુ પછી તેના પરિવારને તે ખાતા કે ડિપોઝિટ વિશે જાણ હોતી નથી અથવા નોમિની તરીકે માત્ર એક જ વ્યક્તિનું નામ હોવાથી, જો તે વ્યક્તિનું પણ મૃત્યુ થયું હોય, તો પૈસા મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની જાય છે. ચાર નોમિની રાખવાની સુવિધાથી આ જોખમ ઘણું ઓછું થઈ જશે.
સરકાર અને RBI ના પ્રોત્સાહક પગલાં: ‘આપકી પુંજી, આપકા અધિકાર’
અનક્લેમ્ડ ડિપોઝિટને તેના અસલી માલિકો સુધી પહોંચાડવા માટે RBI એ સપ્ટેમ્બર 2025 માં મૃત ખાતાધારકોના કેસ પતાવવા માટે નવી અને સરળ માર્ગદર્શિકા બહાર પાડી છે. એટલું જ નહીં, ઓક્ટોબર 2025 થી એક ખાસ ‘ઇન્સેન્ટિવ સ્કીમ’ પણ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ, જો કોઈ બેંક સફળતાપૂર્વક અનક્લેમ્ડ ડિપોઝિટના માલિકો શોધીને નાણાં પરત અપાવે છે, તો બેંકને તે રકમના 5% થી 7.5% જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે.
સરકાર દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન દેશવ્યાપી ‘આપકી પુંજી, આપકા અધિકાર’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનની અસર એટલી વ્યાપક રહી છે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં અંદાજે 5,777 કરોડ રૂપિયાની બિનવારસી રકમ તેના સાચા માલિકોને પરત મળી ચૂકી છે. બેંકોને હવે કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમની વેબસાઇટ પર દર મહિને આવી યાદી અપડેટ કરે અને ગ્રાહકોનો SMS, ઇમેઇલ કે પત્રો દ્વારા સંપર્ક કરે.
4 નોમિનીની સુવિધા: ભવિષ્યનું નાણાકીય સુરક્ષા ચક્ર
નવા સુધારા મુજબ, ગ્રાહકો હવે તેમના બેંક ખાતામાં વારસદારોની પસંદગી ક્રમિક રીતે (Successive) અથવા સપ્રમાણ (Proportionate) કરી શકશે. એટલે કે, તમે નક્કી કરી શકશો કે તમારા મૃત્યુ પછી કોને કેટલા ટકા હિસ્સો મળશે અથવા એક નોમિની ન હોય તો બીજા કોને આ રકમ આપવી. આનાથી કાયદેસરના વારસદારો વચ્ચેના ઝઘડા ઘટશે અને બેંકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.
નિષ્ણાતો માને છે કે આ સુવિધાથી ખાસ કરીને વૃદ્ધો અને તેવા લોકો કે જેમના મોટા પરિવારો છે તેમને ઘણી રાહત મળશે. ગ્રાહકોએ પણ હવે સક્રિય થઈને પોતાની જૂની ડિપોઝિટ ચેક કરવી જોઈએ અને નવા નિયમ મુજબ નોમિની અપડેટ કરવા જોઈએ. આ માત્ર એક નિયમ નથી, પરંતુ તમારા પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત રાખવાનું એક મજબૂત સાધન છે.

