સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારશે સંઘ: મોહન ભાગવતે કાર્યકરોને આપ્યો નવો મંત્ર
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ તે લોકમત કેળવવાનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને RSS પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું છે કે, સંઘે હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પોતાની સક્રિયતા વધારવાની જરૂર છે. નાગપુરમાં મરાઠી અખબાર ‘તરુણ ભારત’ ના શતાબ્દી મહોત્સવમાં બોલતા તેમણે આધુનિક સંચાર માધ્યમોના સકારાત્મક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
સોશિયલ મીડિયા અને રચનાત્મક કાર્ય
મોહન ભાગવતે સ્વીકાર્યું હતું કે યુવા પેઢી મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું, “આજના સમયમાં મીમ્સ અને રીલ્સનો યુગ છે. સંઘનો પ્રચાર વિભાગ પણ આ માધ્યમો દ્વારા સામગ્રી પ્રસારિત કરી રહ્યો છે અને સ્વયંસેવકો પણ તેમાં સક્રિય છે. જોકે, આપણે સારા કાર્યોના પ્રચાર માટે આ પ્લેટફોર્મ્સ પર હજુ વધુ સક્રિયતા બતાવવી પડશે.” તેમણે ઉમેર્યું કે જ્યારે સમર્પિત સ્વયંસેવકો સોશિયલ મીડિયા દ્વારા રચનાત્મક કાર્યોને સમાજ સુધી પહોંચાડે છે, ત્યારે તે સામાજિક પરિવર્તનમાં મોટું યોગદાન આપે છે.
સંગઠનનું વિસ્તરણ અને વિકેન્દ્રીકરણ
સંઘના વધતા જતા વ્યાપ વિશે વાત કરતા સરસંઘચાલકે જણાવ્યું કે, જેમ જેમ લોકોની અપેક્ષાઓ વધી રહી છે તેમ અલગ-અલગ ક્ષેત્રોમાં સ્વયંસેવકોની માંગ પણ વધી છે. કાર્યક્ષમતા વધારવા માટે હવે સંઘના કાર્યનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી બન્યું છે. મોટા સંગઠનને ચલાવવા માટે નાની એકમો (યુનિટ્સ) બનાવવી પડશે, જેથી કાર્ય વધુ સરળતાથી અને ચોકસાઈથી થઈ શકે.
નવી સમન્વય પ્રણાલીની રચના
સરકારે અને વહીવટીતંત્ર સાથે વધુ સારા તાલમેલ માટે સંઘ હવે એક નવું સમન્વય તંત્ર વિકસાવી રહ્યું છે. મોહન ભાગવતે માહિતી આપી હતી કે, સંગઠનના વધતા કામમાં આવતા અવરોધોને દૂર કરવા અને વહીવટી સ્તરે યોગ્ય વાતચીત કરવા માટે ‘પ્રદેશ સ્તર’ પર વિશેષ યુનિટ્સ બનાવવામાં આવી રહી છે. આ તંત્ર સરકાર અને સમાજ વચ્ચે એક સેતુ તરીકે કામ કરશે, જેનાથી સામાજિક કાર્યોમાં ગતિ આવશે.

