સંજુ સેમસનનું જવું રાજસ્થાન રોયલ્સ માટે મોટું નુકસાન, ડુ પ્લેસીસે જણાવ્યું- તે રોહિત-કોહલીની જેમ ટીમનો ચહેરો હતો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં જે સૌથી મોટો ફેરફાર જોવા મળશે તે છે સંજુ સેમસનનું ટીમ પરિવર્તન. લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સનો અભિન્ન હિસ્સો અને કેપ્ટન રહેલો સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળશે. પ્લેયર ટ્રેડિંગના નિયમો અનુસાર રાજસ્થાન રોયલ્સે સંજુને ચેન્નાઈ સાથે ટ્રેડ કર્યો છે, જેને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ફાફ ડુ પ્લેસીસે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. ડુ પ્લેસીસના મતે સંજુનું જવું એ માત્ર એક ખેલાડીની વિદાય નથી, પરંતુ રાજસ્થાન રોયલ્સ માટે એક મોટી ઓળખ ગુમાવવા સમાન છે.
રાજસ્થાનનું નામ લેતા જ સંજુનો ચહેરો સામે આવતો હતો
ફાફ ડુ પ્લેસીસે એક સ્પોર્ટ્સ શોમાં વાત કરતા જણાવ્યું કે, “જો આપણે આઈપીએલની ટીમો પર નજર કરીએ તો મોટાભાગની ટીમો પાસે એક એવો ખેલાડી હોય છે જે વર્ષોથી તે ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો હોય. જેમ કે રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી. આ ટીમોનું નામ લેતા જ આ ખેલાડીઓના ચહેરા નજર સમક્ષ આવે છે.”
તેણે વધુમાં ઉમેર્યું કે, “સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે તેવો જ ચહેરો હતો. ભલે તે નવી પેઢીનો ખેલાડી હોય, પણ તે આ ફ્રેન્ચાઈઝીની ઓળખ બની ગયો હતો. તેના જવાથી ટીમના ચાહકોને જોડી રાખવા ફ્રેન્ચાઈઝી માટે હવે સરળ નહીં હોય. આ રાજસ્થાન રોયલ્સ માટે ઘણું મોટું નુકસાન છે.”
યશસ્વી જાયસ્વાલ પર વધશે દબાણ
રાજસ્થાન રોયલ્સની રણનીતિ પર વાત કરતા ડુ પ્લેસીસે કહ્યું કે સંજુની ગેરહાજરીમાં સૌથી વધુ દબાણ યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ પર આવશે. સંજુની હાજરીમાં યશસ્વી બિન્દાસ થઈને પોતાની કુદરતી રમત રમી શકતો હતો, પરંતુ હવે તેણે વધુ જવાબદારી સાથે બેટિંગ કરવી પડશે. જવાબદારીના આ બોજ હેઠળ પોતાની આક્રમક શૈલી જાળવી રાખવી યશસ્વી માટે મોટો પડકાર રહેશે.

