સરકાર અને સેના બાદ હવે પાકિસ્તાની જજો પર ઇમરાન ખાનનો પ્રહાર, જેલમાંથી બોલ્યા- “બધાએ પોતાનું જમીર વેચી દીધું છે”
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને હવે દેશની ન્યાયપાલિકા સામે મોરચો ખોલ્યો છે. જેલમાં બંધ ઇમરાન ખાને પાકિસ્તાની જજો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, અહીંના જજોએ પોતાનું જમીર વેચી દીધું છે. પોતાના પુત્ર કાસિમ સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમણે ન્યાયતંત્ર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઇમરાન ખાનના મતે, જજો હવે ન્યાય કરવાને બદલે માત્ર કેસને લંબાવી રહ્યા છે અને તેમને આ બાબતે કોઈ શરમ પણ આવતી નથી.
ન્યાયતંત્ર પર આકરા પ્રહાર: “અલ્લાહના ઘરે ન્યાય થશે”
ઈદના અવસરે લંડનમાં રહેતા પોતાના પુત્રો સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે, જજોનું કામ સમાજમાં ન્યાય આપવાનું છે અને તે પણ સમયસર. પરંતુ મારા કિસ્સામાં માત્ર નવી તારીખો જ મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશના તમામ જજોએ પોતાના વિશેષાધિકારો જાળવી રાખવા માટે પોતાના આત્માનો સોદો કરી લીધો છે. ઇમરાને ઉમેર્યું કે, “આ લોકો હવે પ્રામાણિક રહ્યા નથી, તેમને શરમ આવવી જોઈએ. અલ્લાહના ઘરે સૌનો ન્યાય એકસાથે થશે.”
પુત્ર કાસિમે સોશિયલ મીડિયા પર આ સંદેશ શેર કરતા જણાવ્યું કે, તેના પિતા જેલમાં બરાબર ઊંઘી શકતા નથી અને જેલ સત્તાવાળાઓ ઇમરાન ખાનની સાથે તેમની પત્ની બુશરા બીબીને પણ માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા છે.
પત્ની બુશરા બીબી સાથે અમાનવીય વ્યવહારનો આરોપ
ઇમરાન ખાને પુત્રને કહ્યું કે, સરકાર જાણે છે કે તે મને તોડી શકશે નહીં, તેથી હવે તેઓ મારી પત્નીનો સહારો લઈ રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે મને બ્લેકમેલ કરવા માટે બુશરા બીબી સાથે આવો અમાનવીય વ્યવહાર કેવી રીતે કરી શકાય? બુશરા બીબી દિવસ-રાત એકાંતમાં રહે છે. ઇમરાને વધુમાં કહ્યું કે મહિલાઓ, બાળકો અને વડીલોને નુકસાન પહોંચાડવું એ ઇસ્લામ વિરોધી કૃત્ય છે.
પુત્રોના પાકિસ્તાન પ્રવેશ પર વિવાદ
બીજી તરફ, ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન સરકાર તેમના બંને પુત્રોને પિતાને મળવા દેતી નથી. ઇમરાનના બંને પુત્રો હાલ લંડનમાં રહે છે અને તેમની પાસે બ્રિટિશ નાગરિકતા છે.
આ બાબતે પાકિસ્તાનના મંત્રી અતા તરારે સ્પષ્ટતા કરી છે કે નિયમ મુજબ જ બંને પુત્રોને પાકિસ્તાન આવવા દેવામાં આવશે. વિવાદ એ વાતનો છે કે પાકિસ્તાન સરકાર ઈચ્છે છે કે તેઓ પાકિસ્તાની પાસપોર્ટ પર ઈસ્લામાબાદ આવે, જ્યારે ઇમરાનના પુત્રો બ્રિટિશ પાસપોર્ટ પર આવવા માંગે છે જેથી તેમને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે.

