રાજ્યમાં પૂરતો ઈંધણ જથ્થો ઉપલબ્ધ, નાગરિકોને પેનિક ન થવાની સરકાર અને IOCLની અપીલ
ગુજરાતના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી, જેના પગલે રાજ્ય સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો ઇંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દોરાઈને પેટ્રોલ પંપ પર ખોટી ભીડ ન કરે કે પેનિક ન થાય, કારણ કે રાજ્યમાં પૂરતો ‘બફર સ્ટોક’ સુરક્ષિત છે.
અફવા ફેલાવનારા અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી
અધિક મુખ્ય સચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અમુક વિસ્તારોમાં અછતના જે સમાચારો વહેતા થયા છે તે માત્ર પાયાવિહોણી અફવાઓ છે. સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને જો કોઈ પેટ્રોલ પંપ ડીલર પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને ઈંધણ આપવાનો ઈનકાર કરીને હેરાન કરશે, તો તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને પુરવઠો જળવાઈ રહે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પુરવઠાના કલાકોમાં વધારો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના સ્ટેટ નોડલ ઓફિસર સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ડેપો અને ટર્મિનલ્સમાં પેટ્રોલ-ડીઝલની પૂરતી ઇન્વેન્ટરી તૈયાર રાખવામાં આવી છે. ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકોમાં પણ વધારો કર્યો છે જેથી કરીને પંપ પર જથ્થો ખૂટે નહીં. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સની વ્યવસ્થા પણ સુદ્રઢ કરવામાં આવી છે, જેનાથી ગમે ત્યારે અને ગમે તેટલા પ્રમાણમાં ઈંધણ મળી રહેશે. નાગરિકોએ લાઈનો લગાવીને સમય બગાડવાની જરૂર નથી તેવી ખાતરી કંપની દ્વારા આપવામાં આવી છે.
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની નાગરિકોને વિશેષ અપીલ
ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે પણ સમર્થન આપતા કહ્યું છે કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. ઓઈલ કંપનીઓએ જથ્થામાં વધારો કર્યો હોવાથી પુરવઠો સતત ચાલુ રહેશે. તેમણે ખાસ વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે વીડિયો પર વિશ્વાસ ન કરવો. જ્યારે લોકો ખોટી અફવાને કારણે એકસાથે પંપ પર ઉમટી પડે છે ત્યારે બિનજરૂરી ટ્રાફિક અને અરાજકતા સર્જાય છે. સાવચેતી અને સમજદારી રાખવાથી આ સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી શકે તેમ છે.

