ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦ સાથે ડાંગ જિલ્લામાં ૧૦૦ દિવસીય ઝુંબેશનો પ્રારંભ
ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આહવા જનરલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાની આહવા, વઘઇ અને સુબીર તાલુકાની કુલ ૪૫ ગ્રામ પંચાયતોને “ટીબી મુક્ત ગ્રામ પંચાયત” તરીકે જાહેર કરી મેડલ અને સર્ટીફીકેટથી નવાજવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગની કુલ ૯૦ પંચાયતો ક્ષય મુક્ત બની છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. સતત ત્રણ વર્ષ સુધી માપદંડો જાળવી રાખનાર લહાનચર્યા પંચાયતને ખાસ સુવર્ણ પ્રતિમા એનાયત કરવામાં આવી હતી, જે અન્ય ગામો માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે.
‘ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦’ હેઠળ ૧૦૦ દિવસની ઝુંબેશ
કેન્દ્ર સરકાર દ્વારા આજથી એટલે કે ૨૪ માર્ચ ૨૦૨૬થી ‘ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આગામી ૧૦૦ દિવસ સુધી ડાંગ જિલ્લામાં સઘન તપાસ અને ટેકનોલોજીના માધ્યમથી સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવાએ જણાવ્યું હતું કે, ટીબી એક ચેપી રોગ હોવાથી તેને શરૂઆતના લક્ષણોમાં જ પારખી લેવો જરૂરી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામેગામ જઈને નાગરિકોની તપાસ કરવામાં આવશે અને જેમનામાં લક્ષણો જણાશે તેમને વિનામૂલ્યે નિદાન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે.
નિક્ષય મિત્ર બની દર્દીઓને પોષણ સહાય આપવા આહવાન
ક્ષય રોગ સામેની લડાઈમાં દવા જેટલું જ મહત્વ પૌષ્ટિક આહારનું છે. કલેક્ટરશ્રીએ જિલ્લાના સક્ષમ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓને “નિક્ષય મિત્ર” બનવા ભાવભરી અપીલ કરી છે. નિક્ષય મિત્ર બનીને કોઈ પણ વ્યક્તિ ટીબીના દર્દીને દત્તક લઈ શકે છે અને ૬ મહિના સુધી તેમને પૌષ્ટિક અનાજની કિટ પૂરી પાડી શકે છે. આ માનવીય અભિગમથી દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. જનભાગીદારી દ્વારા જ ડાંગને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આધુનિક સારવાર અને જનજાગૃતિ દ્વારા ક્ષય નિર્મૂલન
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત અને જિલ્લા ક્ષય અધિકારી ડો. બિનેશ ગામીતે માહિતી આપી હતી કે, ટીબી હવે અસાધ્ય રોગ નથી રહ્યો. તમામ સરકારી હોસ્પિટલોમાં ટ્રુનાટ ટેસ્ટ અને એક્સ-રે જેવી આધુનિક તપાસ સુવિધાઓ મફત ઉપલબ્ધ છે. આ વર્ષની થીમ “Yes! WE CAN End TB” ને સાર્થક કરવા માટે દરેક સ્તરે લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ૧૪ વર્ષથી વધુની વયના નાગરિકોના એક્સ-રે પાડીને વહેલી તકે નિદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડાંગના આરોગ્ય કર્મીઓ અને સરપંચોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.

