ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂ થતાં ઉડ્ડયન મંત્રીનું સન્માન
ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે નવી હવાઈ સેવાનો પ્રારંભ કરાવવા બદલ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો વિશેષ અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા મંત્રીશ્રીનું હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગરની કલા અને સંસ્કૃતિની ઓળખ સમાન મોતીકામથી બનાવેલી વિમાનની પ્રતિકૃતિ સ્મૃતિભેટ તરીકે અર્પણ કરી મંત્રીશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે આ ઐતિહાસિક ક્ષણની યાદગીરી બની રહી હતી.
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ: નિમુબેન બાંભણીયા
અભિવાદન સમારોહને સંબોધતા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જેની સંખ્યા વર્ષ ૨૦૨૬ સુધીમાં વધીને ૧૬૫ સુધી પહોંચી ગઈ છે. ભાવનગર નજીક ધોલેરામાં પણ નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જે ભાવનગરને વિકાસનું નવું ‘ગેટ-વે’ બનાવશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયું છે અને આ એર કનેક્ટિવિટી ભાવનગરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
‘ઉડાન’ યોજના દ્વારા સામાન્ય માણસનું વિમાનમાં બેસવાનું સપનું થયું સાકાર
કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ ભાવનગરની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે ભારત સરકારની ‘ઉડાન’ યોજના એક ક્રાંતિકારી કદમ સાબિત થઈ છે. એક સમયે વિમાન પ્રવાસ માત્ર શ્રીમંતો માટેની લક્ઝરી ગણાતો હતો, પરંતુ આજે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ પણ સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે છે. સરકારના આગામી ૧૦ વર્ષના લક્ષ્યાંક મુજબ દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપેડ બનાવવાનું આયોજન છે, જેના માટે ૨૮ હજાર કરોડનું જંગી ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાની સફળતાથી ભારત વૈશ્વિક સ્તરે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા મંત્રીશ્રીનું બહુમાન
સમારોહમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રિસાયકલિંગ એસોસિએશન, ક્રેડાઈ ભાવનગર અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જેવી વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી મંત્રીશ્રીનું બુકે અને મોમેન્ટોથી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાવનગરના વિકાસમાં આ હવાઈ સેવા નવા પ્રાણ ફૂંકશે અને વેપાર-ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.

