Kutch કચ્છના સામખિયાળી-ગાંધીધામ હાઈવે પર મીઠું ભરીને પસાર થતી ટ્રકોની બેદરકારી એક ગંભીર અને જીવલેણ સમસ્યા બની ગઈ છે. આ માર્ગ પરથી દરરોજ હજારો ટન મીઠું ટ્રકોમાં ભરીને દેશના ખૂણેખૂણે મોકલવામાં આવે છે, પરંતુ આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે મોટાભાગની ટ્રકો ખુલ્લી અવસ્થામાં, એટલે કે તાડપત્રી ઢાંક્યા વગર દોડે છે. જ્યારે આ ભારેખમ ટ્રકો તેજ ગતિએ પવનની વિરુદ્ધ દિશામાં ચાલે છે, ત્યારે મીઠાના કણો હવામાં ઉડે છે અને પાછળ આવતા દ્વિચક્રી વાહનચાલકો કે રાહદારીઓની આંખોમાં પડે છે. મીઠું આંખમાં પડવું એ માત્ર સામાન્ય અગવડતા નથી, પણ તે આંખની કીકીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે અને ક્ષણિક અંધાપો આવતા ગંભીર અકસ્માત પણ સર્જી શકે છે.
સવાલ એ થાય છે કે જો કોઈ રાહદારી આ બેદરકારીને કારણે પોતાની આંખની રોશની ગુમાવે અથવા અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોની? શું તે ટ્રક માલિકની છે, ડ્રાઈવરની છે, કે પછી તે તંત્રની જેણે આ નિયમોનું પાલન કરાવવાનું છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈપણ માલવાહક વાહને પોતાનો સામાન સુરક્ષિત રીતે ઢાંકીને જ લઈ જવો જોઈએ, છતાં અહીં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
તંત્રની ઊંઘ ક્યારે ઉડશે તે એક મોટો પ્રશ્ન છે. આર.ટી.ઓ. (RTO) અને પોલીસ પ્રશાસન દ્વારા ચેકિંગના નામે માત્ર નાટકો કરવામાં આવતા હોય તેવું જણાય છે. જનતામાં એવી પ્રબળ ચર્ચા છે કે આ બધું ‘ગાંધી છાપ’ નોટોના જોરે ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચારના દબાણ હેઠળ અધિકારીઓ પોતાની આંખો મીંચી દે છે અને ઉદ્યોગપતિઓ કે ટ્રાન્સપોર્ટરો પોતાના આર્થિક ફાયદા માટે સામાન્ય માણસના જીવને જોખમમાં મૂકે છે. તાડપત્રી બાંધવામાં થતો આળસ કે થોડો ખર્ચ બચાવવાની લાલચ કોઈના પરિવારનો માળો વિખેરી શકે છે.
આ મેટરને કડક બનાવવી અનિવાર્ય છે. પ્રશાસને માત્ર દંડ કરીને સંતોષ માનવાને બદલે આવી ટ્રકોના લાયસન્સ રદ કરવા જોઈએ અને જ્યાં સુધી માલ પૂરી રીતે ઢંકાયેલો ન હોય ત્યાં સુધી તેને હાઈવે પર પ્રવેશવા ન દેવી જોઈએ. જો તંત્ર કડક પગલાં નહીં લે, તો એ દિવસ દૂર નથી જ્યારે જનતાનો આક્રોશ રસ્તા પર ઉતરશે. વિકાસના નામે વિનાશની આ ગાડીઓને રોકવી જ રહી, કારણ કે સામાન્ય નાગરિકનો જીવ કોઈ પણ ભ્રષ્ટ વહીવટ કરતા કિંમતી છે. તંત્રએ જાગવું જ પડશે, નહીંતર “ગાંધી છાપ” નોટોની ચમક નીચે સામાન્ય માણસનું ભવિષ્ય દટાઈ જશે.