રાજ્યસભામાં પદ છીનવાતા રાઘવ ચઢ્ઢાનું મૌન તૂટ્યું: ‘શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?’
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યસભાના ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. લાંબા સમયના મૌન બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પોતાની પીડા વ્યક્ત કરી હતી. ચઢ્ઢાએ પક્ષના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, “શું મેં કંઈ ખોટું કર્યું છે?”
સંસદમાં અવાજ ઉઠાવવા પર સવાલ
રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં જણાવ્યું હતું કે જ્યારે પણ તેમને સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે તેઓ હંમેશા સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપે છે. તેમણે ભાવુક સ્વરે પૂછ્યું, “સંસદમાં જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવવા એ શું કોઈ ગુનો છે કે ભૂલ? હું આ સવાલ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે AAP એ રાજ્યસભા સચિવાલયને રાઘવ ચઢ્ઢાના સંસદીય સંબોધનો પર રોક લગાવવા માટે સૂચના આપી છે.”
જનતાના પ્રશ્નોની યાદી
પોતાની વાતને મજબૂત રીતે રજૂ કરતા ચઢ્ઢાએ ભૂતકાળમાં ઉઠાવેલા મુદ્દાઓની યાદી આપી હતી. તેમણે કહ્યું કે તેમણે એરપોર્ટ પર ખાણીપીણીના ઊંચા ભાવો, ગીગ વર્કર્સની (ઓનલાઇન ડિલિવરી બોયઝ વગેરે) સમસ્યાઓ, પ્રીપેડ મોબાઈલ પ્લાનના વધતા દરો અને મધ્યમ વર્ગ પર પડતા ટેક્સના બોજ જેવા ગંભીર વિષયો પર અવાજ ઉઠાવ્યો છે. તેમને નવાઈ લાગે છે કે જે મુદ્દાઓ સીધા સામાન્ય માણસ સાથે જોડાયેલા છે, તે ઉઠાવવાથી કોઈને કેમ તકલીફ હોઈ શકે?
Silenced, not defeated
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ
‘आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3
— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026
રાજકીય ગરમાવો
રાઘવ ચઢ્ઢાનું આ નિવેદન આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ તરફ ઈશારો કરે છે. એક સમયે પાર્ટીના કદાવર નેતા અને અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા ચઢ્ઢાને અચાનક પદ પરથી હટાવવાના નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ચઢ્ઢાના આ તાજેતરના નિવેદને હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પક્ષના આ નિર્ણયથી નારાજ છે અને પોતાની વાત જનતાની અદાલતમાં લઈ જવા માંગે છે.
