હવે ગેસ સપ્લાયનું ટેન્શન ખતમ! યુદ્ધની વચ્ચે પહેલીવાર કતારના જહાજોને હોર્મુઝમાંથી મળી ‘ગ્રીન સિગ્નલ’
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વિશ્વ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને સંઘર્ષના આ સમયગાળામાં પ્રથમ વખત કતારના જહાજોને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) માંથી પસાર થવાની મંજૂરી આપી છે. જો કતારના જહાજોની અવરજવર આ જ રીતે ચાલુ રહેશે, તો વિશ્વના દેશોએ ઉર્જા સંકટ કે ગેસની અછતનો સામનો કરવો પડશે નહીં. નોંધનીય છે કે વૈશ્વિક ગેસ પુરવઠાનો લગભગ 19 ટકા હિસ્સો એકલા કતારથી આવે છે.
હોર્મુઝમાંથી પસાર થશે કતારના 2 મોટા જહાજો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના જંગની વચ્ચે ગેસ સપ્લાયને લઈને આખી દુનિયાને મોટી રાહત મળી શકે છે. યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર હોર્મુઝના વ્યૂહાત્મક માર્ગ પરથી કતારના બે જહાજોને પસાર થવાની લીલી ઝંડી મળી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેહરાન અને દોહા (કતાર) વચ્ચે થયેલી એક ખાસ ડીલ બાદ આ મંજૂરી આપી છે.
ડેટા મુજબ, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) થી ભરેલા કતારના બે જહાજો, ‘રસીદા’ અને ‘અલ દાયિન’ હોર્મુઝ તરફ ગતિ કરતા જોવા મળ્યા છે. આ બંને જહાજો હોર્મુઝ પસાર કરીને પહેલા ઓમાનની ખાડીમાં જશે અને ત્યારબાદ પોતપોતાના ઓર્ડર મુજબ નિર્ધારિત દેશો તરફ રવાના થશે.
વિશ્વ માટે આ માર્ગ કેમ મહત્વનો છે?
કતાર વિશ્વના કુલ ગેસ પુરવઠામાં સિંહફાળો આપે છે. વર્ષ 2024 માં કતારે અંદાજે 77.23 મિલિયન મેટ્રિક ટન ગેસની સપ્લાય કરી હતી. ભારત, ચીન અને પાકિસ્તાન જેવા એશિયાઈ દેશો મોટાભાગે કતાર પર નિર્ભર છે. આ ઉપરાંત, યુરોપના મોટાભાગના દેશોને પણ ગેસનો પુરવઠો કતારથી જ મળે છે.
કતાર હોર્મુઝના રસ્તે જ આખી દુનિયાને ગેસ મોકલે છે. યુદ્ધને કારણે હોર્મુઝનો માર્ગ બંધ થતા તે દેશોની સ્થિતિ કફોડી બની ગઈ હતી જેઓ ગેસ માટે કતાર પર નિર્ભર છે. હવે આ જહાજોની અવરજવર શરૂ થતા વિશ્વમાં ગેસ સપ્લાયની સ્થિતિ ફરી સામાન્ય થવાની આશા જાગી છે. જોકે, ઈરાન આ મંજૂરી ક્યાં સુધી ચાલુ રાખશે તે અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કતાર અને ઈરાન વચ્ચે ‘સીક્રેટ ડીલ’ની ચર્ચા
મિડલ ઈસ્ટના રાજકીય વર્તુળોમાં અત્યારે કતાર અને ઈરાન વચ્ચે થયેલી એક ગુપ્ત સમજૂતીની જોરશોરથી ચર્ચા છે. ઈઝરાયેલી અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ કતારે ઈરાનને તે નાણાં પાછા આપવાની વાત કરી છે જે અમેરિકા સાથેની એક સમજૂતી હેઠળ કતારની બેંકમાં ફસાયેલા હતા.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કતારે ઈરાનને 6 બિલિયન ડોલર આપવાની ઓફર કરી છે. આ જંગી રકમની સમજૂતી બાદ જ ઈરાને કતારના જહાજો પરના હુમલા બંધ કર્યા છે અને તેમને સુરક્ષિત રસ્તો આપવાનું નક્કી કર્યું છે. જોકે, આ બાબતે ઈરાન કે કતાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

