ભારતે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામનું કર્યું સ્વાગત; વિદેશ મંત્રાલયે કહ્યું- ‘આશા છે કે મધ્ય પૂર્વમાં હવે શાંતિ સ્થપાશે’
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. ભારતે આ મહત્વપૂર્ણ સમજૂતીનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ મામલે સત્તાવાર નિવેદન જારી કરીને આશા વ્યક્ત કરી છે કે, આ સમજૂતી પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપવા તરફનું એક મોટું ડગલું સાબિત થશે.
સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો: વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આનાથી સમગ્ર વિસ્તારમાં સ્થિરતા આવશે.” ભારત હંમેશા એ વાતનો પક્ષધર રહ્યું છે કે કોઈપણ મોટા સંઘર્ષ કે વિવાદનો ઉકેલ યુદ્ધથી નહીં, પરંતુ તણાવમાં ઘટાડો (De-escalation), પરસ્પર સંવાદ અને કૂટનીતિ (Diplomacy) દ્વારા જ લાવી શકાય છે.
ભારતે આશા વ્યક્ત કરી છે કે આ 14 દિવસનો વિરામ બંને પક્ષોને વાતચીતના ટેબલ પર લાવવામાં મદદરૂપ થશે અને લોહીની નદીઓ વહેતી અટકશે.
વૈશ્વિક વેપાર અને સામાન્ય લોકોની સુરક્ષા
વિદેશ મંત્રાલયે લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષની માઠી અસરો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધને કારણે સામાન્ય જનતાએ ભારે વેદના ભોગવી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો (તેલ અને ગેસ) અને વેપાર નેટવર્ક પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.
ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) નો ઉલ્લેખ કરતા ભારતે જણાવ્યું કે, આ જળમાર્ગ વિશ્વના વેપાર માટે અત્યંત મહત્વનો છે. ભારત ઈચ્છે છે કે આ રસ્તો અવરોધ વિના ખુલ્લો રહે જેથી વૈશ્વિક વેપાર અને જહાજોની અવરજવર પર કોઈ અસર ન પડે. ભારત માટે આ રસ્તો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આપણી ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આ જ માર્ગે ભારત આવે છે.
શું છે વર્તમાન સ્થિતિ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત કરી છે અને તેહરાન પણ તેના માટે રાજી થયું છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી આ ભયાનક જંગ હાલમાં બે અઠવાડિયા માટે રોકી દેવામાં આવી છે. પાકિસ્તાન, બ્રિટન અને મલેશિયા સહિતના દેશોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. હવે ભારતની આ સકારાત્મક પ્રતિક્રિયા દર્શાવે છે કે આર્થિક અને માનવીય દ્રષ્ટિકોણથી આ શાંતિ કેટલી જરૂરી હતી.

