ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? પેટ્રોલ-ડીઝલના ભાવથી પણ મળશે રાહત? જાણો શું છે સરકારનો ‘સ્પેશિયલ પ્લાન’
છેલ્લા બે મહિનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં સર્જાયેલા અવરોધને કારણે ભારત સહિત વિશ્વભરમાં તેલ અને ગેસનું સંકટ ઘેરાયું છે. આ સંકટની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થાય છે, ત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચે છે, જેનાથી ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર હવે એક વિશેષ ફાઈનાન્શિયલ સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહી છે.
શું છે સરકારનો સ્ટેબિલાઈઝેશન ફંડ (Stabilization Fund) પ્લાન?
કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રાહક બાબતોના મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવ છે ‘કિંમત સ્થિરતા ભંડોળ’ (Price Stabilization Fund) બનાવવાનો.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં સરકારે દાળ, ડુંગળી, બટાકા અને ટામેટા જેવી વસ્તુઓ માટે આવું ફંડ બનાવ્યું હતું. જ્યારે પણ બજારમાં આ ચીજોના ભાવ વધે છે, ત્યારે સરકાર આ ફંડની મદદથી વસ્તુઓની ખરીદી કરીને સસ્તા ભાવે બજારમાં વેચે છે, જેથી કિંમતો સ્થિર રહે છે. હવે આવો જ પ્રયોગ પેટ્રોલિયમ પેદાશો માટે કરવાની યોજના છે.
આ ફંડ કેવી રીતે કામ કરશે?
સરકારની હાઈ-લેવલ મીટિંગમાં મળેલી વિગતો મુજબ, આ સિસ્ટમ નીચે મુજબ કામ કરશે:
સ્ટોક ઉભો કરવો: સરકાર આ ફંડ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને LPG ખરીદીને તેનો એક મોટો જથ્થો (Stock) સુરક્ષિત રાખશે.
રિફાઈનરીઓ સાથે જોડાણ: આ યોજના માટે સરકાર દેશની મોટી તેલ રિફાઈનરી કંપનીઓ સાથે ખાસ કરાર કરશે.
કિંમત નિયંત્રણ: જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ અચાનક વધશે અથવા યુદ્ધ જેવી સ્થિતિમાં સપ્લાય અટકી જશે, ત્યારે સરકાર આ અનામત ભંડારમાંથી તેલ અને ગેસ બજારમાં મુકશે. આનાથી કિંમતોમાં અચાનક થતો મોટો વધારો રોકી શકાશે.
શું આ સબસિડી છે?
ના, સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સબસિડી યોજના નથી. સબસિડીમાં સરકાર પોતાના ખિસ્સામાંથી નાણાં ખર્ચીને વસ્તુ સસ્તી કરે છે, જ્યારે ‘સ્ટેબિલાઈઝેશન ફંડ’નો મુખ્ય હેતુ માત્ર કિંમતોમાં થતા ઉતાર-ચઢાવને રોકવાનો અને તેને એક સ્તર પર સ્થિર રાખવાનો છે. આ ફંડ તેલ અને ગેસના એવા ભંડાર પર ધ્યાન કેન્દ્રિત કરશે જે હાલના ઈમરજન્સી સ્ટોકથી અલગ હશે.
વર્તમાન સ્થિતિ અને નવો ફેરફાર
હાલમાં ભારત પાસે લગભગ ૫.૩ મિલિયન ટન ક્રૂડ ઓઈલનો વ્યૂહાત્મક ભંડાર (Strategic Petroleum Reserve) છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર અત્યંત કટોકટીના સમયે જ કરવામાં આવે છે. નવું ફંડ ખાસ કરીને આર્થિક દ્રષ્ટિકોણથી બનાવવામાં આવશે, જેથી સામાન્ય જનતાને મોંઘવારીના આંચકાથી બચાવી શકાય.

