વૃદ્ધાવસ્થાની લાકડી બનશે આ સરકારી યોજના: APY માં નોંધાયો રેકોર્ડ તોડ વધારો, તમે હજુ બાકી તો નથી ને?
ભારત સરકારની મહત્વકાંક્ષી સામાજિક સુરક્ષા યોજના ‘અટલ પેન્શન યોજના’ (APY) એ સફળતાનું એક નવું શિખર સર કર્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત આ યોજના સાથે જોડાનારા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા હવે 9 કરોડ ના આંકડાને પાર કરી ગઈ છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ યોજનામાં 1.35 કરોડથી વધુ નવા સભ્યો ઉમેરાયા છે, જે યોજનાની શરૂઆત પછી અત્યાર સુધીનો એક વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ સિદ્ધિ દર્શાવે છે કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને સામાન્ય મધ્યમ વર્ગમાં પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની જાગૃતિ ઝડપથી વધી રહી છે.
છેવાડાના માનવી સુધી પહોંચતું સુરક્ષા કવચ
9 મે, 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ, વંચિત અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને વૃદ્ધાવસ્થામાં આર્થિક ટેકો આપવાનો છે. છેલ્લા એક દાયકામાં બેંકો (સરકારી, ખાનગી અને સહકારી), પોસ્ટ ઓફિસ અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોને કારણે આ યોજના દેશના ખૂણેખૂણે પહોંચી છે. PFRDA એ બહુભાષી જાગૃતિ કાર્યક્રમો અને મીડિયા કેમ્પેઈન દ્વારા દરેક જિલ્લામાં લોકોને આ યોજનાના ફાયદા સમજાવ્યા છે.
₹1,000 થી ₹5,000 સુધીના ગેરંટીડ પેન્શનની જોગવાઈ
અટલ પેન્શન યોજનાને એક ‘સંપૂર્ણ સુરક્ષા કવચ’ તરીકે તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹1,000 થી ₹5,000 સુધીનું નિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવે છે. પેન્શનની રકમ રોકાણકાર દ્વારા ભરવામાં આવતા પ્રીમિયમ અને તેની જોડાવાની ઉંમર પર આધારિત હોય છે.
પરિવાર માટે પણ આર્થિક સુરક્ષા
આ યોજના માત્ર વ્યક્તિ પૂરતી સીમિત નથી, પરંતુ તેના પરિવારને પણ સુરક્ષિત કરે છે:
-
જીવનસાથીને લાભ: જો સબ્સ્ક્રાઇબરનું મૃત્યુ થાય, તો તેના જીવનસાથીને તેટલી જ રકમનું પેન્શન મળતું રહે છે.
-
નોમિનીને રકમ: જો પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય, તો 60 વર્ષની ઉંમર સુધી જમા થયેલી કુલ રકમ (Corpus) તેમના વારસદાર અથવા નોમિનીને પરત કરી દેવામાં આવે છે.
કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે?
અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે સરકાર દ્વારા અમુક ચોક્કસ શરતો રાખવામાં આવી છે:
-
ઉંમરની મર્યાદા: 18 થી 40 વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે.
-
ટેક્સ પેયર માટે નિયમ: જે લોકો હાલમાં આવકવેરો (Income Tax) ભરે છે અથવા ભૂતકાળમાં ક્યારેય ટેક્સ પેયર રહ્યા છે, તેઓ આ યોજના માટે પાત્ર નથી.
-
રોકાણનો સમયગાળો: આ એક લાંબા ગાળાની યોજના છે, જેમાં ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે જેથી 60 વર્ષ પછી પેન્શનનો લાભ મળી શકે.

