અરવિંદ કેજરીવાલનો ન્યાયિક બહિષ્કાર: દારૂ નીતિ કેસમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કાર્યવાહીમાં ભાગ લેવાનો ઇનકાર, ‘ગાંધીવાદી સત્યાગ્રહ’નો આપ્યો હવાલો
આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને એક વિગતવાર પત્ર લખીને જાણ કરી છે કે તેઓ સીબીઆઈ (CBI) દારૂ નીતિ કેસમાં તેમની બેન્ચ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીમાં હવે ભાગ લેશે નહીં. કેજરીવાલે આ નિર્ણય પાછળ ન્યાયિક પ્રક્રિયાની નિષ્પક્ષતામાં વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કારણ આપ્યું છે.
ન્યાય માત્ર થવો જ જોઈએ એવું નહીં, પણ થતો દેખાવો પણ જોઈએ
કેજરીવાલે જજને સંબોધતા પત્રમાં લખ્યું છે કે, તેમનો આ નિર્ણય ન્યાયતંત્ર પ્રત્યે સંપૂર્ણ આદર સાથે લેવામાં આવ્યો છે. જોકે, તેમણે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તે ન્યાયશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત ‘ન્યાય માત્ર થવો જોઈએ તેટલું પૂરતું નથી, પરંતુ તે થતો દેખાવો પણ જોઈએ’ તે શરત સંતોષતી નથી. તેમણે ઉમેર્યું કે આ પગલું કોઈ ગુસ્સા કે અનાદરને કારણે નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયાની નિષ્પક્ષતામાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે લીધેલું છે.
ગાંધીવાદી સત્યાગ્રહ અને કાયદાકીય પરિણામોનો સ્વીકાર
કેજરીવાલે પત્રમાં ખૂબ જ ગંભીરતાથી નોંધ્યું છે કે તેઓ આ નિર્ણયના કોઈપણ પ્રતિકૂળ કાયદાકીય પરિણામો ભોગવવા તૈયાર છે. તેમણે લખ્યું, “હું આગળની કાર્યવાહીમાં ભાગ નહીં લઉં. હું સંપૂર્ણપણે સભાન છું કે આમ કરવાથી મારા પોતાના કાયદાકીય હિતોને નુકસાન થઈ શકે છે. પરંતુ હું તે પરિણામો ભોગવવા તૈયાર છું. ગાંધીવાદી સત્યાગ્રહના દરેક કૃત્યે આ બોજ ઉઠાવવો પડે છે અને મારો અંતરાત્મા મને બીજો કોઈ રસ્તો બતાવતો નથી.”
હિતોના સંઘર્ષ (Conflict of Interest) ના ગંભીર આક્ષેપો
કેજરીવાલે અગાઉ જસ્ટિસ શર્માને આ કેસમાંથી હટી જવા (Recusal) માટે વિનંતી કરી હતી, જેને જજે ફગાવી દીધી હતી. પત્રમાં કેજરીવાલે ફરીથી હિતોના સંઘર્ષ અંગેના મુદ્દાઓ ઉઠાવ્યા છે:
બાળકોની નિમણૂક: કેજરીવાલનો આક્ષેપ છે કે જસ્ટિસ શર્માના બંને બાળકો કેન્દ્ર સરકારના કાઉન્સિલ તરીકે પેનલ પર છે અને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા તેમને કેસ સોંપવામાં આવે છે.
RTI માહિતી: RTI દ્વારા મળેલી માહિતી મુજબ, જજના પુત્રને ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચે મોટી સંખ્યામાં કેસ સોંપવામાં આવ્યા છે, જેના બદલામાં મોટું વ્યાવસાયિક વળતર મળતું હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે.
રાજકીય જોડાણ: જસ્ટિસ શર્માએ ભૂતકાળમાં RSS સાથે જોડાયેલા એડવોકેટ પરિષદના કાર્યક્રમોમાં ભાગ લીધો હોવાનો પણ કેજરીવાલે ઉલ્લેખ કર્યો છે.
જજ પર વ્યક્તિગત હુમલાનો ઈનકાર
જસ્ટિસ શર્માએ જ્યારે કેસમાંથી હટી જવાની કેજરીવાલની અરજી ફગાવી, ત્યારે એવી ટિપ્પણી કરી હતી કે આ અરજી જજ અને સંસ્થા પર વ્યક્તિગત હુમલો છે. તેના જવાબમાં કેજરીવાલે પત્રમાં લખ્યું કે, અદાલતની આવી ભાષા પછી તેમના માટે એ માનવું અશક્ય છે કે તેમને નિષ્પક્ષ સુનાવણી મળશે. તેમણે કહ્યું કે, કોઈ અસીલ પ્રતિકૂળ આદેશ સ્વીકારી શકે છે, પરંતુ એવો ચુકાદો સ્વીકારવો મુશ્કેલ છે જે એવું સૂચવે કે અસીલે જજને ‘કલંકિત’ કરવાનો પ્રયાસ કર્યો છે.

