ખાર્ગ આઇલેન્ડથી મુંબઈ સુધીનો સિક્રેટ રૂટ: અમેરિકાની નાકેબંધી છતાં ભારત પહોંચ્યું કાચું તેલ; શું ટ્રમ્પનો પ્લાન નિષ્ફળ?
ઈરાન સામે અમેરિકાની કડક સૈન્ય નાકેબંધી હોવા છતાં, હોર્મુઝની સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી તેલના ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે અટકી નથી. અમેરિકાએ ઈરાનને નમાવવા માટે આ વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ પર કડક નિયંત્રણો લાદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિએ સાબિત કરી દીધું છે કે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પર માત્ર નૌકાદળની તાકાતથી નાકેબંધી કરવી અશક્ય છે. અમેરિકી નૌકાદળની હાજરી હોવા છતાં, અનેક ટેન્કરો આ જાળ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા છે.
ભારતીય જહાજ ‘દેશ ગરિમા’ની સાહસિક સફર
તાજેતરમાં ભારતીય જહાજ ‘દેશ ગરિમા’ આ જોખમી માર્ગ પાર કરીને મુંબઈ બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું છે. રિપોર્ટ્સ મુજબ, આ જહાજ પર મુસાફરી દરમિયાન ઈરાની દળો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તે ૯૭,૦૦૦ મેટ્રિક ટન કાચું તેલ લઈને ભારત પહોંચવામાં સફળ રહ્યું. ૧૩ એપ્રિલથી શરૂ થયેલી અમેરિકી નાકેબંધી પછી અત્યાર સુધીમાં ૩૦થી વધુ ટેન્કરો આ વિસ્તારમાંથી પસાર થઈ ચૂક્યા છે, જે અમેરિકાના દાવાઓ પર સવાલ ઉભા કરે છે.
કયા રસ્તેથી ભારત પહોંચે છે તેલ?
નિષ્ણાતોના મતે, તેલના ટેન્કરો ઈરાનના ખાર્ગ ટાપુ પરથી તેલ લોડ કર્યા પછી બે મુખ્ય માર્ગોનો ઉપયોગ કરી શકે છે:
મકરાન કોસ્ટ (પાકિસ્તાન) માર્ગ: આ રસ્તો ઈરાની જળસીમાથી સીધો પાકિસ્તાની જળસીમામાં પ્રવેશ પૂરો પાડે છે. જોકે, ભારત અને પાકિસ્તાનના વર્તમાન સંબંધો જોતા આ માર્ગ વ્યવહારિક રીતે ખૂબ જ જટિલ અને જોખમી છે.
ચાબહાર અને આંતરરાષ્ટ્રીય જળસીમા: બીજો માર્ગ ઈરાનના તટ સાથે ચાબહાર પોર્ટ સુધી પહોંચે છે અને ત્યાંથી દક્ષિણ તરફ વળીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશી સીધો ભારતના પશ્ચિમ કાંઠાના બંદરો (ગુજરાત, મહારાષ્ટ્ર કે ગોવા) સુધી પહોંચે છે.
ભારતીય નૌકાદળની રક્ષણાત્મક ભૂમિકા
ભારતીય જહાજોને આ વિવાદિત ક્ષેત્રમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં ભારતીય નૌકાદળ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પૂર્વ નૌકાદળના અધિકારીઓના જણાવ્યા મુજબ, પહેલા રાજદ્વારી સ્તરે પરવાનગી લેવામાં આવે છે અને ત્યારબાદ ઓમાનની ખાડીમાં સુરક્ષિત સ્થાને ભારતીય નૌકાદળ આ જહાજોને ‘એસ્કોર્ટ’ (સુરક્ષા કવચ) પૂરું પાડે છે. ભારતીય જહાજો માટે પાકિસ્તાની જળસીમામાં જવાની જરૂર રહેતી નથી, કારણ કે તેઓ સીધા આંતરરાષ્ટ્રીય માર્ગોનો ઉપયોગ કરી શકે છે.
અમેરિકી નાકેબંધીની મર્યાદાઓ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ નાકેબંધીને મોટી સફળતા ગણાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ૨૮ જહાજોને અટકાવ્યા છે અથવા પાછા વાળ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા (UNCLOS) મુજબ, અમેરિકા કોઈપણ દેશની જળસીમામાં વગર પરવાનગી એ પ્રવેશી શકતું નથી. ‘ઇનોસન્ટ પેસેજ’ના અધિકાર હેઠળ વિદેશી જહાજોને સુરક્ષિત પસાર થવાનો હક હોય છે. ઈરાન પાસેથી મળતું સસ્તું તેલ ભારત જેવા દેશો માટે ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અનિવાર્ય છે.

