યુપીના રાજકારણમાં ‘ખુરશી’ અને ‘સ્ટૂલ’નો જંગ: અખિલેશ યાદવની રીલ પર મૌર્ય અને પાઠકની જોરદાર પલટવાર
ઉત્તર પ્રદેશનું રાજકારણ હંમેશા ગરમાગરમ રહેતું હોય છે, પરંતુ હવે આ લડાઈ રસ્તાઓ પરથી ઉતરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર પહોંચી ગઈ છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને રાજ્યના બે નાયબ મુખ્યમંત્રીઓ—કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક—વચ્ચે જે પ્રકારની નિવેદનબાજી થઈ છે, તેણે રાજ્યમાં રાજકીય પારો ઉંચો લાવી દીધો છે. એક તરફ અખિલેશ યાદવે કટાક્ષ કર્યો, તો બીજી તરફ ભાજપની આ જોડીએ પોતાની એકતાનું પ્રદર્શન કરીને વળતો પ્રહાર કર્યો છે.
વિવાદની શરૂઆત: અખિલેશ યાદવની સોશિયલ મીડિયા ‘રીલ’
આ આખા વિવાદનું મૂળ નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની એક પોસ્ટમાં હતું. પાઠકે કેશવ પ્રસાદ મૌર્ય સાથેની મુલાકાતની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, તેમની વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ મુલાકાત થઈ અને રાજ્યના વિકાસના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
આ તસવીર સામે આવતા જ અખિલેશ યાદવે મોકો ઝડપી લીધો. તેમણે આ તસવીર પર એક મ્યુઝિકલ રીલ બનાવી અને કેપ્શનમાં કટાક્ષ કરતા લખ્યું: “બે સ્ટૂલને ભેગા કરવાથી ખુરશી નથી બનતી!” અખિલેશ યાદવનો આ કટાક્ષ સીધો એવો સંકેત હતો કે ભલે આ બે નેતાઓ ગમે તેટલા પ્રયત્ન કરે, પણ તેઓ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી શકશે નહીં અથવા તો સરકારમાં તેમનું કદ માત્ર ‘સ્ટૂલ’ જેટલું જ છે.
કેશવ પ્રસાદ મૌર્યનો પલટવાર: “ચક્રવર્તી સમ્રાટના વંશજથી ગભરાવું સ્વાભાવિક છે”
અખિલેશ યાદવના આ વાર સામે કેશવ પ્રસાદ મૌર્યએ અત્યંત આક્રમક રીતે જવાબ આપ્યો. તેમણે અખિલેશને સંબોધતા કહ્યું કે, એક “ફિટ અને હિટ જોડી” જોઈને તમારું ગભરાવું ન્યાયી છે. મૌર્યએ પોતાની પોસ્ટમાં માત્ર રાજકારણ જ નહીં, પરંતુ પોતાની સાંસ્કૃતિક અને જાતિગત ઓળખનો પણ ઉલ્લેખ કર્યો.
મૌર્યએ લખ્યું, “હું મહાન ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વંશનો પ્રતિનિધિ છું અને અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છું. હું ભગવાન બુદ્ધની વિરાસત સાથે જોડાયેલો છું.” તેમણે સમાજવાદી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અખિલેશના સંરક્ષણમાં કુશવાહા, મૌર્ય, શાક્ય અને સૈની જેવા વંચિત સમાજો પર વર્ષોથી અત્યાચારો થયા છે, જેનો હિસાબ જનતા આગામી સમયમાં લોકતાંત્રિક રીતે ‘કમળ’ ખીલવીને કરશે. મૌર્યએ સ્પષ્ટ કર્યું કે ૨૦૪૭ના વિકસિત ભારતના લક્ષ્ય માટે તેઓ કટિબદ્ધ છે.
आदरणीय श्री अखिलेश यादव जी,
एक फिट और हिट जोड़ी से आपका घबराना निहायत ही जायज है। आपकी जानकारी के लिए यह अच्छा भी है क्योंकि केशव प्रसाद मौर्य और श्री @brajeshpathakup जी की जोड़ी आज जनता के भरोसे की पहचान बन चुकी है।
मैं, महान चक्रवर्ती सम्राट चंद्रगुप्त मौर्य के वंश का…
— Keshav Prasad Maurya (@kpmaurya1) May 2, 2026
બ્રજેશ પાઠકનો જવાબ: “યુપીની સુપર જોડીની ચર્ચા બધે જ છે”
બીજી તરફ, બીજા નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ અખિલેશ યાદવને આડે હાથ લીધા. તેમણે અખિલેશની ‘પરેશાની’ પર ચપટી લેતા લખ્યું કે, “આજના નવા ઉત્તર પ્રદેશની સુપર જોડીની ચર્ચા બધે જ છે, એટલે અખિલેશજી તમારી ચિંતા હું સમજી શકું છું.”
પાઠકે આગળ ઉમેર્યું કે કેશવ પ્રસાદ મૌર્ય તેમના પારિવારિક સભ્ય જેવા છે અને તેમના ઘરના દરવાજા જનતાની સેવા માટે ૨૪ કલાક ખુલ્લા છે. તેમણે સપા પર તુષ્ટિકરણનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, જનતા બધું જાણે છે. “ખુરશીના મોહમાં તમે જે રાજકારણ કરી રહ્યા છો, તેની જનતા પર કોઈ અસર નહીં થાય. આ નવું યુપી છે અહીં વિકાસ પણ છે અને જનતાનો વિશ્વાસ પણ.” પાઠકે સલાહ આપી કે નકલી નિવેદનો છોડીને ધરાતલ પર જુઓ, ૨૦૨૭માં ફરી ભાજપની જ સરકાર બનવાની છે.
आज के नए उत्तर प्रदेश की सुपर जोड़ी की चर्चा सब जगह है। इसलिए अखिलेश जी मैं आपकी परेशानी को समझ सकता हूं। मेरे परम मित्र और पारिवारिक सदस्य श्री केशव प्रसाद मौर्य और मेरे घर के दरवाजे जनता जनार्दन की सेवा के लिए 24 घंटे खुले हैं। हम बातों से ज्यादा धरातल पर कार्य करने में भरोसा…
— Brajesh Pathak (@brajeshpathakup) May 2, 2026
શું છે આ લડાઈના રાજકીય અર્થ?
રાજકીય વિશ્લેષકો માને છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સમાજવાદી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે, જ્યારે ભાજપ પોતાના આંતરિક સંગઠનને મજબૂત કરવામાં લાગેલું છે. અખિલેશ યાદવ સતત એવો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ભાજપના નેતાઓ વચ્ચે ‘મતભેદ’ હોવાનું સાબિત કરે. ખાસ કરીને મૌર્ય અને પાઠક વચ્ચેના સંબંધોને લઈને જે અટકળો ચાલતી હતી, તેને અખિલેશે હવા આપવાનો પ્રયત્ન કર્યો.
दो स्टूलों को मिलाने से कुर्सी नहीं बनती! pic.twitter.com/RLdHEcMF2u
— Akhilesh Yadav (@yadavakhilesh) May 1, 2026
જોકે, ભાજપના બંને દિગ્ગજ નેતાઓએ એકસાથે આવીને જે પ્રતિક્રિયા આપી છે, તેનાથી તેમણે બે સંદેશ આપ્યા છે:
એકતાનો સંદેશ: બંને નેતાઓ વચ્ચે કોઈ મનભેદ નથી અને તેઓ એક મજબૂત ટીમ તરીકે કામ કરી રહ્યા છે.
જાતિગત સમીકરણ: મૌર્યએ જે રીતે પોતાના વંશ અને પછાત વર્ગના અત્યાચારની વાત કરી, તે સીધો ઓબીસી વોટ બેંકને અંકે રાખવાનો પ્રયાસ છે.
