લોન લેનારાઓ માટે ખુશખબર કે આંચકો? RBI એ દર ઘટાડ્યા પણ બેંકોએ પૂરો લાભ ન આપ્યો, જાણો શું કહે છે બેંક ઓફ બરોડાનો રિપોર્ટ
બેંક ઓફ બરોડાના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજદરમાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો, તેનો લાભ લોન લેનારા ગ્રાહકો સુધી માત્ર આંશિક રીતે જ પહોંચ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ધિરાણ દરોમાં ઘટાડો તો થયો છે, પરંતુ તે ઘટાડો પોલિસી દરમાં કરવામાં આવેલા ઘટાડા જેટલો મોટો નથી.

રેપો રેટમાં મોટો ઘટાડો, પણ ધિરાણદરોમાં ધીમી ગતિ
RBI એ ફેબ્રુઆરી 2025 થી રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરી દીધો હતો, જે કુલ 125 બેસિસ પોઈન્ટ્સ (1.25%) નો ઘટાડો દર્શાવે છે. આ પગલાનો મુખ્ય હેતુ લોન લેવાની પડતર કિંમત ઘટાડવાનો અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો હતો. જોકે, સમગ્ર બેંકિંગ સિસ્ટમમાં આ ઘટાડાની અસર એકસરખી રહી નથી.
રિપોર્ટ મુજબ, વર્ષ દરમિયાન ઉધાર લેવાની પડતર કિંમતમાં ઘટાડો ચોક્કસપણે આવ્યો છે, પરંતુ તે 125 બેસિસ પોઈન્ટના ઘટાડાની બરાબર નથી. બેંકોએ બેલેન્સ જાળવવા માટે ડિપોઝિટ દરોમાં પણ ઘટાડો કર્યો હતો, જેની સીધી અસર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) જેવા બેન્ચમાર્ક પર પડી હતી.
એક્સટર્નલ બેન્ચમાર્ક (EBLR) ની મહત્વની ભૂમિકા
વ્યાજદરના ઘટાડાનો લાભ કોને અને કેટલો મળશે, તેનો આધાર જે-તે લોન કયા બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે તેના પર રહેલો છે. ખાસ કરીને રિટેલ અને MSME સેક્ટરમાં એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) સાથે જોડાયેલી લોન હોવાથી ત્યાં વ્યાજદરમાં ઘટાડો વધુ ઝડપથી જોવા મળ્યો હતો.
બેંકો મુજબ EBLR જોડાણની સ્થિતિ કંઈક આ મુજબ રહી:
વિદેશી બેંકો: આશરે 94 ટકા લોન EBLR સાથે જોડાયેલી હતી.
ખાનગી બેંકો: લગભગ 89 ટકા લોન EBLR સાથે લિંક હતી.
સરકારી બેંકો: માત્ર 51 ટકા લોન જ EBLR સાથે જોડાયેલી જોવા મળી હતી.

વિવિધ ક્ષેત્રો પર અલગ-અલગ અસરો
રિપોર્ટ દર્શાવે છે કે વ્યાજદરના ઘટાડાની અસર અલગ-અલગ સેક્ટરમાં ખૂબ જ ભિન્ન રહી છે:
સૌથી ઊંચા દર: ગેરંટી વગરની (unsecured) રિટેલ લોન પર વ્યાજદર સૌથી વધુ 10.1 ટકા રહ્યા હતા, ત્યારબાદ એગ્રીકલ્ચર લોન 9.81 ટકા પર રહી હતી.
સૌથી નીચા દર: રૂપિયામાં આપવામાં આવતી એક્સપોર્ટ લોન માટે સૌથી ઓછા 6.78 ટકા વ્યાજદર નોંધાયા હતા.
રિટેલ લોનનું ચિત્ર: હાઉસીંગ લોન 7.63 ટકા સાથે સસ્તી રહી હતી, જ્યારે વ્હીકલ અને એજ્યુકેશન લોન 9 ટકાથી ઉપર જોવા મળી હતી.
નોંધનીય છે કે, એક્સપોર્ટ ક્રેડિટ અને એજ્યુકેશન લોન જેવા ક્ષેત્રોમાં ધિરાણ દરોમાં 160 બેસિસ પોઈન્ટથી વધુનો ધરખમ ઘટાડો થયો હતો. MSME અને અનસિક્યોર્ડ રિટેલ લોનમાં પણ રેપો રેટમાં થયેલા ઘટાડા જેટલો જ ફાયદો જોવા મળ્યો હતો. જોકે, કૃષિ અને મોટા ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં ઘટાડો ખૂબ જ નહિવત રહ્યો હતો.
લોન લેનારાઓને ₹19,000 કરોડની બચત
બેંક ઓફ બરોડાના અંદાજ મુજબ, વ્યાજદરના આ ઘટાડાને કારણે લોન લેનારા ગ્રાહકોને વ્યાજ ખર્ચમાં મોટી રાહત મળી છે, જેનાથી મુખ્ય ક્ષેત્રોમાં કુલ ₹19,000 કરોડ ની બચત થઈ છે. આ બચતનો સૌથી મોટો હિસ્સો હાઉસીંગ અને MSME લોન લેનારાઓના ફાળે ગયો છે.
ભવિષ્યનું અનુમાન: હાલમાં વ્યાજદરનું ચક્ર સ્થિરતા તરફ જઈ રહ્યું હોવાથી, નજીકના ભવિષ્યમાં ધિરાણ દરોમાં માત્ર નજીવો ફેરફાર થવાની શક્યતા છે. જ્યાં સુધી આરબીઆઈ તરફથી નવી નીતિગત દિશા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મોટા ફેરફારોની અપેક્ષા ઓછી છે.
