પીએમ મોદીની વૈશ્વિક ચેતવણી: ‘જો પરિસ્થિતિ જલ્દી નહીં બદલાય તો વૈશ્વિક આપત્તિ નિશ્ચિત છે’, નેધરલેન્ડથી વિશ્વને જગાડ્યું
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી આપેલું આ નિવેદન ખૂબ જ સંવેદનશીલ અને દૂરોગામી અસરો ધરાવતું છે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને રશિયા-યુક્રેન સહિત અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ઉથલપાથલની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી વિશ્વને એક અત્યંત ગંભીર ચેતવણી આપી છે. પોતાની પાંચ દેશોની સત્તાવાર મુલાકાતના બીજા તબક્કામાં નેધરલેન્ડના હેગ ખાતે પહોંચેલા પીએમ મોદીએ ત્યાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન દાયકો માનવતા માટે સતત વધતા જતા પડકારો અને આફતોનો સમયગાળો સાબિત થઈ રહ્યો છે. જો વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા સમયસર આ પરિસ્થિતિઓને અંકુશમાં લેવામાં નહીં આવે, તો દુનિયાની એક બહુ મોટી વસ્તી ફરી એકવાર ભારે ગરીબીના દલદલમાં સરી પડશે.
કોવિડ અને વૈશ્વિક યુદ્ધોએ તોડી કમર
વડાપ્રધાને વર્તમાન કટોકટીનું વિશ્લેષણ કરતા અત્યંત આકરા શબ્દોમાં કહ્યું કે, “ચાલુ દાયકાની શરૂઆતથી જ માનવજાત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પહેલાં કોવિડ-૧૯ મહામારીએ વૈશ્વિક અર્થતંત્રને પાયમાલ કર્યું, અને ત્યારબાદ શરૂ થયેલા સળંગ યુદ્ધોએ સપ્લાય ચેઈનને તોડી નાખી છે. ત્યારથી સમગ્ર વિશ્વ સતત તેલ અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે.” પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી કે જો આ યુદ્ધો અને આર્થિક નાકાબંધી જલ્દી અટકશે નહીં, તો વિતેલા કેટલાક દાયકાઓમાં વૈશ્વિક સમુદાયે આર્થિક અને સામાજિક મોરચે મેળવેલી તમામ મોટી સિદ્ધિઓ અને મહેનત સંપૂર્ણપણે નાશ પામશે.
નોંધનીય છે કે, રશિયા-યુક્રેન સંઘર્ષની સાથે-સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલેલા ૪૦ દિવસના ભયાનક યુદ્ધ પછી હાલ ભલે શાંતિ દેખાતી હોય, પરંતુ વૈશ્વિક સ્તરે તેનું નુકસાન ચાલુ છે. દુનિયાનો સૌથી વ્યૂહાત્મક ઓઈલ માર્ગ ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હજુ પણ ઈરાની સૈન્યના કડક નિયંત્રણ હેઠળ છે. આ નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખરાબ રીતે ખોરવાઈ રહ્યો છે, જે વૈશ્વિક ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે અમેરિકા અને ઈરાન બંને પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે, જેના કારણે યુદ્ધનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે.
દેશના આર્થિક સંરક્ષણ માટે પીએમ મોદીની ‘૩ મોટી અપીલ’
આ વૈશ્વિક કટોકટીની સીધી અસર ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) પર પડી રહી છે. વધતા જતા આર્થિક દબાણને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી મોદીએ અગાઉ હૈદરાબાદના એક કાર્યક્રમમાં દેશવાસીઓને આર્થિક મોરચે ‘દેશભક્તિ’ બતાવવા માટે ત્રણ અત્યંત મહત્વપૂર્ણ અપીલો કરી હતી, જેનો ઉલ્લેખ ફરીથી પ્રસ્તુત બન્યો છે:
-
૧. એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો: ભારત દર વર્ષે અબજો ડોલરની કિંમતનું સોનું બહારના દેશોમાંથી આયાત કરે છે. આના કારણે દેશના કિંમતી ડોલર બહાર ચાલ્યા જાય છે. પીએમ મોદીએ દેશના અર્થતંત્રને મજબૂતી આપવા માટે નાગરિકોને આગામી એક વર્ષ સુધી કોઈપણ વિશેષ પ્રસંગો સિવાય સોનાની ખરીદીથી દૂર રહેવા આગ્રહ કર્યો છે. આ જ દિશામાં આગળ વધતા સરકારે સોના પરની આયાત ડ્યુટીમાં પણ વધારો કર્યો છે.
-
૨. તેલ અને ઉર્જાની બચત કરો: ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકાથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. પીએમ મોદીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વ્યક્તિગત વાહનોને બદલે જાહેર પરિવહન, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) નો મહત્તમ ઉપયોગ કરે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થવાના કારણે દેશની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં ૩ રૂપિયા અને સીએનજીમાં ૧ રૂપિયાનો વધારો કરવો પડ્યો છે, જેથી ઇંધણનો વપરાશ મર્યાદિત કરવો અનિવાર્ય બન્યો છે.
-
૩. વિદેશ યાત્રા પર સ્વૈચ્છિક પ્રતિબંધ: પ્રધાનમંત્રીએ મધ્યમ અને ઉચ્ચ વર્ગના નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ રજાઓ ગાળવા માટે વિદેશ જવાને બદલે ભારતના જ સુંદર અને ઐતિહાસિક પ્રવાસન સ્થળોની મુલાકાત લે. આનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટું પીઠબળ મળશે.
નેધરલેન્ડની ધરતી પરથી પીએમ મોદીએ આપેલી આ ચેતવણી માત્ર ભાષણ નથી, પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારતને સુરક્ષિત રાખવાની એક આગવી વ્યુહરચના છે. યુદ્ધના વધતા ખતરા વચ્ચે દરેક ભારતીયે આર્થિક શિસ્ત અપનાવવી એ જ સમયની માંગ છે.

