સુરક્ષા કેમ્પ બનશે સેવા કેન્દ્ર: નક્સલવાદના ખાતમા બાદ બસ્તરમાં અમિત શાહની ઐતિહાસિક જાહેરાત, ‘સેવા ડેરા’નું ઉદ્ઘાટન
છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં વર્ષોથી ચાલી રહેલા નક્સલવાદના કાળા અધ્યાયનો અંત આવ્યા બાદ હવે આ વિસ્તાર વિકાસના એક નવા યુગ તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે બસ્તરની મુલાકાત લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ ‘સેવા ડેરા’ ની શરૂઆત કરી છે.
આ નવી યોજના હેઠળ, અત્યાર સુધી આંતરિક સુરક્ષા અને નક્સલીઓ સામે લડવા માટે અર્ધસૈનિક દળો દ્વારા સ્થાપવામાં આવેલા ‘સુરક્ષા કેમ્પ’ (Security Camps) ને હવે સામાન્ય નાગરિકો માટે ‘સેવા કેન્દ્ર’ (જનસુવિધા કેન્દ્ર) માં ફેરવવામાં આવશે. આ બદલાવ દર્શાવે છે કે બસ્તર હવે આતંકના ઓછાયામાંથી મુક્ત થઈને મુખ્યધારામાં જોડાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
શહીદ વીર ગુંડાધુરના બલિદાન ભૂમિ પરથી નવો ઈતિહાસ
ગૃહમંત્રી અમિત શાહે બસ્તરના નેતાનાર ખાતે અર્ધસૈનિક દળોના કેમ્પને ‘સેવા કેમ્પ’ માં તબદીલ કરીને આ અભિયાનની સત્તાવાર શરૂઆત કરી હતી. આ અવસરે ભાવુક થઈને તેમણે જણાવ્યું હતું કે, “આ મારા જીવનનો ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આ એ જ ધરતી છે જ્યાં ક્રાંતિકારી શહીદ વીર ગુંડાધુરે વિદેશી હુકુમત (અંગ્રેજો) સામે બગાવત કરી હતી. તેમની જ પ્રેરણાથી આજે જ્યાં આપણા છ જવાનો શહીદ થયા હતા, તે જ જગ્યાએ આદિવાસી ભાઈ-બહેનો માટે સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.”
તેમણે ભૂતકાળની ભયાનકતાને યાદ કરતાં ઉમેર્યું કે, “મેં બસ્તરની એ વિભીષિકા જોઈ છે જ્યારે નક્સલીઓના આઈઈડી (IED) બ્લાસ્ટમાં લોકો પોતાના પગ ગુમાવતા હતા અને માસૂમ બાળકોને શાળાઓમાંથી બળજબરીપૂર્વક ઉઠાવી લેવાતા હતા. આઝાદીના આટલા દાયકાઓ પછી પણ સરકારની કોઈ લોકકલ્યાણકારી યોજના આ અંતરિયાળ ગામો સુધી પહોંચી શકી નહોતી.”
200 માંથી 70 કેમ્પ જનસુવિધા કેન્દ્ર બનશે
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે આજે બસ્તરના ગરીબ પરિવારોને દર મહિને ૭ કિલો મફત ચોખા અને ₹૫ લાખ સુધીની મફત સારવાર (આયુષ્માન યોજના) ની સુવિધા મળી રહી છે, જે આ વિસ્તાર માટે એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આદિવાસીઓના નામે આ વિસ્તારમાં અશાંતિ અને હિંસા ફેલાવનારા નક્સલીઓને ભારતીય સુરક્ષા દળોએ જડમૂળથી સમાપ્ત કરી દીધા છે.
તેમણે માહિતી આપી કે તાજેતરમાં આશરે ૩,૦૦૦ જેટલા નક્સલીઓએ હથિયાર હેઠા મૂકીને આત્મસમર્પણ (Surrender) કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી આશરે ૨૦૦ લોકોને વાંચતા-લખતા પણ નથી આવડતું. હાલમાં આરએસએસ (RSS) ના માધ્યમથી આવા ૨,૦૦૦ લોકોને પ્રૌઢ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાહે જાહેરાत કરી કે આગામી સમયમાં દેશભરમાં બસ્તરના ૨૦૦ કેમ્પમાંથી ૭૦ સુરક્ષા કેમ્પોને આ જ પ્રકારે આધુનિક જનસુવિધા કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવશે.
વહીવટી તંત્ર રાયપુરથી તમારા ગામ સુધી આવશે
ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં બસ્તરની જનતાને ખાતરી આપી કે હવે તેમને પોતાના નાના-મોટા સરકારી કામો માટે રાયપુર અથવા મોટા શહેરોના ધક્કા ખાવા નહીં પડે. તેમણે કહ્યું, “જે લોકો મશીનગન લઈને અહી આતંક ફેલાવતા હતા, તેમનો સફાયો થઈ ચૂક્યો છે. આગામી એક વર્ષની અંદર અમે એવી વ્યવસ્થા ઊભી કરીશું કે સરકાર પોતે રાયપુરથી ચાલીને તમારા ગામ સુધી પહોંચશે.”
આ નવી યોજના હેઠળ કેમ્પોને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન’ (NID) ને જવાબદારી સોંપવામાં આવી છે. એનઆઇડી આ કેન્દ્રોની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે. આ એક જ ભવન (કોમન સર્વિસ સેન્ટર) ની અંદરથી ગ્રામીણ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૩૭૧ જેટલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ સીધો મળી શકશે. અહીં બેંકિંગ સુવિધા, નવું રેશનકાર્ડ, ઓળખપત્રો બનાવવા તેમજ સરકારી સહાયના નાણાં ઉપાડવાની તમામ વ્યવસ્થાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.
ડેરી મોડલ અને વન પેદાશોથી રોજગારની નવી ક્રાંતિ
બસ્તરમાં માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ આર્થિક સમૃદ્ધિ લાવવા માટે સરકારે બે મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે:
ગુજરાતનું ડેરી મોડલ: અમિત શાહે જણાવ્યું કે ત્રણ મહિના પહેલાં તેમણે છત્તીસગઢના ડેપ્યુટી સીએમને ગુજરાત મોકલ્યા હતા જેથી ત્યાંનું સફળ ડેરી મોડલ અહીં લાગુ કરી શકાય. હવે ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (NDDB) ના સહયોગથી બસ્તરના દરેક ગામમાં ડેરી પહોંચાડવામાં આવશે. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે દરેક આદિવાસી મહિલાને બે પશુ (ગાય અથવા ભેંસ) મફત આપશે, જેથી તેમનો વ્યવસાય શરૂ થઈ શકે.
વન પેદાશોનું વૈશ્વિક માર્કેટિંગ: બસ્તરના જંગલોમાંથી મળતી કિંમતી વન પેદાશો (Forest Produce) માટે રાષ્ટ્રીય સ્તરની કોઓપરેટિવ સોસાયટી બનાવવામાં આવી છે. આ સંસ્થા આદિવાસીઓ દ્વારા એકત્ર કરાયેલી સામગ્રીનું આધુનિક પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરશે, જેથી સ્થાનિક લોકોને તેમની મહેનતનો પૂરો અને સારો ભાવ મળી રહે.
ડેરી ઉદ્યોગ અને વન પેદાશોનું આ નવું નેટવર્ક બસ્તરના આદિવાસી યુવાનો અને મહિલાઓ માટે રોજગારના એક નવા અને સુવર્ણ યુગની શરૂઆત કરશે.

