પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જ આગબબૂલા થયા રાહુલ ગાંધી: પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું- ‘ચુપકે-ચુપકે…’
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને હવે રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. વિપક્ષી નેતાઓ આ મુદ્દે સરકારને ઘેરવાની એકપણ તક છોડી રહ્યા નથી. તાજેતરમાં જ ઇંધણના ભાવમાં થયેલા વિસ્ફોટ પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આકરા પાણીએ પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ હપ્તે-હપ્તે (કિશ્તોમાં) એટલા માટે વધારે છે જેથી જનતાને ખબર પણ ન પડે અને ‘ચુપકે-ચુપકે’ સામાન્ય માણસનું ગજવું કતરાતું રહે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને ‘મોંઘવારી માનવ’ (મહંગાઈ મેન) ગણાવતા પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મોંઘવારી માનવ મોદીનો ફરી એકવાર જનતા પર હુમલો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ કટકે-કટકે વધારવામાં આવે છે- જેથી ચુપચાપ તમારી જેબ કટાતી રહે અને કોઈ મોટો હોબાળો પણ ન થાય.”
“હું મહિનાઓથી આર્થિક તોફાનની ચેતવણી આપી રહ્યો હતો”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ છેલ્લા કેટલાય મહિનાઓથી દેશમાં એક મોટું આર્થિક તોફાન આવવાનું છે તેવી ચેતવણી આપી રહ્યા હતા. પરંતુ કમનસીબે મોદીજી હંમેશની જેમ પોતાની આદત મુજબ ચૂંટણીના પ્રચારમાં અને રાજકારણમાં વ્યસ્ત હતા.
તેમણે આગળ ઉમેર્યું કે, જેવી ચૂંટણીઓ ખતમ થઈ કે તરત જ સરકારે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮ રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દીધો. રાહુલ ગાંધીએ ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે આ ભાવવધારો અહીં અટકવાનો નથી, આ તો હજુ શરૂઆત છે અને આગામી દિવસોમાં આ વધારો સતત ચાલુ જ રહેશે. પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ‘મોંઘવારી માનવ મોદી’નું એક જ કામ છે- ચૂંટણી સમયે મોટા-મોટા વાયદા કરવા અને બાકીના સમયે જનતાની જેબ પર આકરા વાર કરવા.
મલ્લિકાર્જુન ખરગેએ આંકડાઓ સાથે સરકારની ‘લૂંટ’ ખુલ્લી પાડી
બીજી તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પણ આ મુદ્દે સરકાર પર આંકડાકીય પુરાવાઓ સાથે જોરદાર પ્રહારો કર્યા છે. ખરગેએ ટ્વિટ કરીને જણાવ્યું કે પેટ્રોલની સત્તાવાર લૂંટનો આ સિલસિલો હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં જ આ ચોથી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. મોદી સરકારે સામાન્ય લોકોની વર્ષોની બચતને હોમી દેવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બાળ્યા છે.
ખરગેએ યુપીએ (UPA) સરકાર અને વર્તમાન મોદી સરકારના શાસનકાળની સરખામણી કરતા કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા:
યુપીએ શાસન (૨૦૦૪ થી ૨૦૧૪): આ ૧૦ વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં ૧૭૫.૩૪% નો જંગી વધારો થયો હતો, તેમ છતાં તત્કાલીન સરકારે દેશના નાગરિકો પર આટલો મોટો બોજ નહોતો નાખ્યો.
महंगाई मानव मोदी का फिर से हमला।
पेट्रोल-डीज़ल के दाम किश्तों में बढ़ाते हैं – ताकि चुपके-चुपके आपकी जेब कटती रहे।
मैं महीनों से आर्थिक तूफान आने की बात कह रहा था। पर मोदी जी तब हमेशा की तरह चुनाव में व्यस्त थे – और चुनाव खत्म होते ही पेट्रोल-डीजल ₹8 महंगा कर दिया।
और, ये…
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2026
મોદી શાસન: ખરગેનો દાવો છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં તે પ્રમાણમાં વધારો નથી થયો, તેમ છતાં સરકારે વર્ષ ૨૦૧૪ માં જે પેટ્રોલ ₹૭૧.૪૧ પ્રતિ લીટર મળતું હતું, તેને વર્ષ ૨૦૨૬ માં વધારીને ₹૧૦૨.૧૨ પ્રતિ લીટર કરી દીધું છે. આ સીધો ૪૩.૦૧% નો વધારો છે.
ડીઝલના ભાવમાં ભડકો: એ જ રીતે, વર્ષ ૨૦૧૪ માં ડીઝલની કિંમત ₹૫૬.૭૧ પ્રતિ લીટર હતી, જે આજે ૨૦૨૬ માં વધીને ₹૯૫.૨૦ પ્રતિ લીટર થઈ ગઈ છે, એટલે કે ડીઝલમાં આશ્ચર્યજનક રીતે ૬૭.૮૭% નો તોતિંગ વધારો ઝીંકાયો છે.
“દરરોજ ૧૦૦૦ કરોડ રૂપિયાની લૂંટ, જનતા કરતા નફો વહાલો”
કોંગ્રેસ અધ્યક્ષે ગંભીર આક્ષેપ કરતા લખ્યું છે કે, મોદી સરકારે છેલ્લા ૧૨ વર્ષના શાસનમાં દેશની જનતા પાસેથી ટેક્સ અને ઈંધણના નામે અધધ.. ૪૩ લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. જો આ હિસાબને રોજિંદા ધોરણે જોવામાં આવે તો સરકાર દરરોજ સામાન્ય જનતાના ખિસ્સામાંથી ૧૦૦૦ કરોડ રૂપિયા લૂંટી રહી છે.
ખરગેએ આર્થિક બજારના એક ચિંતાજનક ટ્રેન્ડ તરફ પણ ઈશારો કર્યો. તેમણે જણાવ્યું કે એકતરફ દેશની જનતા પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવથી ત્રાસી ગઈ છે, ત્યારે બીજી તરફ સરકારી તેલ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો થતાં જ શેરબજારમાં HPCL ના શેરમાં ૫.૮%, BPCL ના શેરમાં ૪.૪૪% અને IOCL ના શેરમાં ૩.૯૦% નો જંગી વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે, “જનતા જાય ખાડામાં, બસ આપણો મુનાફો થવો જોઈએ” – આ જ ભાજપનો મૂળમંત્ર બની ગયો છે.
The Daily Assault of FUEL LOOT is not over yet!
4th hike in 10 days !!
Petrol – ₹7.35/litre
Diesel – ₹7.53/litre
Modi Govt has sprinkled Petrol to Burn the Savings of common people.
⛽️Between 2004 and 2014, during the UPA, international crude oil prices increased by… pic.twitter.com/4rP8BfasNj
— Mallikarjun Kharge (@kharge) May 25, 2026
દેશના અર્થતંત્ર અને સામાન્ય પરિવારો પર વ્યાપક અસર
મલ્લિકાર્જુન ખરગેએ પોતાના નિવેદનના અંતમાં દેશના મધ્યમ અને ગરીબ વર્ગની ચિંતા કરતા લખ્યું કે, ઈંધણના ભાવમાં થતો દરેક નવો વધારો મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટ પર એક બહુ મોટો ઘા સમાન છે. આ કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાની સીધી અસર દેશના અર્થતંત્રના દરેક પાસા પર પડે છે.
ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે, જેના લીધે શાકભાજી, દૂધ, અનાજ અને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે. દેશના ખેડૂતોથી લઈને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs) સુધી, સમાજનો દરેક નાનો-મોટો વર્ગ આજે ભાજપ સરકારની આ આર્થિક નીતિઓનો ભોગ બની રહ્યો છે. વિપક્ષે સરકારને ઘેરતા છેલ્લે એક સણસણતો સવાલ પૂછ્યો છે કે- “અમે સરકારને ફરીથી પૂછવા માંગીએ છીએ કે જનતાના ભોગે થઈ રહેલી આ દૈનિક લૂંટનો અસલી ફાયદો આખરે કોને મળી રહ્યો છે?” વિપક્ષના આ આકરા પ્રહારો બાદ હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે.
