ગીર સોમનાથ: ઉનાના ચીખલી ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે બે દિવસ પૂર્વે બનેલી યુવાનની હત્યાની ઘટનામાં પોલીસે સફળતા મેળવી છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલા એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. મૃતક અક્ષય મકવાણાની હત્યા પાછળનું કારણ દારૂના વેપાર સાથે જોડાયેલ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
દીવમાં દારૂ પકડાયાનો અદાવત અને હત્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યાનો મુખ્ય હેતુ દારૂના વેપાર અંગેનો વિવાદ હતો. દીવ વિસ્તારમાં દારૂ પકડાયો હતો, જેને લઈને મૃતક અક્ષય મકવાણા સાથે આરોપીઓનો ઝઘડો થયો હતો. આ અંગત અદાવતનો બદલો લેવા માટે જ આરોપીઓએ અક્ષયને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં ફલિત થયું છે.
ચીખલી ગામની દુકાન પર બોલાચાલી બાદ હુમલો
ઘટનાની વિગત મુજબ, ચીખલી ગામે એક દુકાન પાસે સૌપ્રથમ મૃતક અક્ષય અને એક સગીર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ તકરાર ઉગ્ર બનતા સગીરના અન્ય બે સાથીદારો પણ ત્યાં પહોંચી ગયા હતા. કોબ ગામના રહેવાસી આ ત્રણેય આરોપીઓએ અક્ષય પર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.
તીક્ષણ હથિયારના ઘા ઝીંકતા યુવાનનું મોત
આરોપીઓએ અક્ષય મકવાણાના હાથ અને પેટના ભાગે તીક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે લોહીલુહાણ થયેલા અક્ષયનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ ઉના પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

