ITR કરતી વખતે આ ૭ ભૂલો ભારે પડશે
નાણાકીય વર્ષ પૂરું થતાં જ દરેક કરદાતા (Taxpayer) ની નજર ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા તરફ હોય છે. નોકરીયાત વર્ગ માટે કંપનીઓ દ્વારા ફોર્મ ૧૬ આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ સમય નાણાકીય શિસ્ત જાળવવાનો છે, કારણ કે ઉતાવળમાં કે પૂરતી માહિતી વિના ફાઇલ કરાયેલું આઈટીઆર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવકવેરા વિભાગ (Income Tax Department) હવે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દરેક નાનામાં નાના ટ્રાન્ઝેક્શન પર નજર રાખી રહ્યું છે. તેથી, સહેજ પણ બેદરકારી સીધી ઇન્કમ ટેક્સની નોટિસ લાવી શકે છે.
દેશભરમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વેગ પકડી રહી છે. મોટાભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને ફોર્મ ૧૬ (Form 16) આપવાનું શરૂ કરી દીધું છે, જે સેલેરીડ ટેક્સપેયર્સ માટે રિટર્ન ફાઇલ કરવાનો સૌથી મોટો આધાર છે. આ ફોર્મમાં તમારી ગ્રોસ સેલરી, ટેક્સેબલ ઇન્કમ, કપાયેલો ટીડીએસ (TDS) અને ટેક્સ જવાબદારીની વિગતો હોય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે માત્ર ફોર્મ ૧૬ ના આધારે આઈટીઆર સબમિટ કરી દેવું પૂરતું નથી. ટેક્સ ડિપાર્ટમેન્ટની કાનૂની નોટિસથી બચવા માટે કરદાતાઓએ ૭ સુવર્ણ નિયમોનું પાલન કરવું જ પડશે.
AIS અને ફોર્મ 26AS સાથે ડેટાનું ક્રોસ-વેરિફિકેશન
ટેક્સ નિષ્ણાતોના મતે, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં તમારે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જઈને તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ 26AS ને ડાઉનલોડ કરીને તેની વિગતો ફોર્મ ૧૬ સાથે સરખાવવી જોઈએ. તમારા બેંક ખાતામાં જમા થયેલું વ્યાજ, શેરબજારના ટ્રાન્ઝેક્શન વગેરે તમામ વિગતો AIS માં નોંધાયેલી હોય છે. જો આ બંને દસ્તાવેજોના ડેટા વચ્ચે કોઈ વિસંગતતા (Mismatch) હશે, તો સિસ્ટમ ઓટોમેટિકલી તમને ખામીયુક્ત રિટર્નની નોટિસ મોકલી દેશે.
યોગ્ય આઈટીઆર ફોર્મની પસંદગી અને વધારાની આવક જાહેર કરવી
બધા કરદાતાઓ માટે એક સરખું ફોર્મ હોતું નથી. તમારી આવકના સ્ત્રોત મુજબ ITR-1, ITR-2 કે ITR-3 માંથી સાચા ફોર્મની પસંદગી કરવી અનિવાર્ય છે. ખોટું ફોર્મ પસંદ કરવાથી તમારું રિટર્ન અમાન્ય થઈ શકે છે. આ ઉપરાંત, ઘણા લોકો બેંક બચત ખાતાનું વ્યાજ, ફિક્સ ડિપોઝિટ (FD) નું વ્યાજ, કંપનીઓ તરફથી મળતું ડિવિડન્ડ કે ઘરભાડાની આવકને રિટર્નમાં દર્શાવતા નથી. આવી નાની આવકો છુપાવવી એ કાયદાકીય ગુનો બને છે અને તેના પર ભારે પેનલ્ટી વસૂલવામાં આવી શકે છે.
ખોટા ક્લેમથી બચવું અને કેપિટલ ગેઈન્સની સાચી માહિતી
ટેક્સની જવાબદારી ઘટાડવા માટે ઘણા લોકો કલમ 80C, 80D કે મકાન ભાડા ભથ્થા (HRA) ના નામે એવા ડિડક્શન્સ ક્લેમ કરી લે છે જેના માટે તેઓ પાત્ર જ નથી હોતા. ખોટી રસીદો કે બોગસ દસ્તાવેજોના આધારે ટેક્સ બચાવવાની આ પ્રવૃત્તિ હવે પકડાઈ જાય છે. તેવી જ રીતે, વર્ષ દરમિયાન શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ જમીન-મકાન વેચવાથી થયેલા નફા (Capital Gains) ની સાચી માહિતી રિટર્નમાં આપવી જરૂરી છે. લોસ કે પ્રોફિટ છુપાવવાના પ્રયાસો સીધા સ્ક્રુટિની નોટિસને આમંત્રણ આપે છે.
ગ્લોબલ એસેટ્સ અને સૌથી અનિવાર્ય ‘ઈ-વેરિફિકેશન’
જો તમારી પાસે વિદેશમાં કોઈ બેંક ખાતું હોય, પ્રોપર્ટી હોય કે વિદેશી કંપનીના શેર્સ (જેમ કે યુએસ સ્ટોક્સ) હોય અથવા ત્યાંથી કોઈ આવક થતી હોય, તો આઈટીઆરના શેડ્યૂલ FA માં તેનો ઉલ્લેખ કરવો કાયદાકીય રીતે ફરજિયાત છે. છેલ્લી અને સૌથી મહત્વની બાબત એ છે કે, રિટર્ન ઓનલાઈન સબમિટ કર્યા પછી તેને ૩૦ દિવસની અંદર ઈ-વેરિફાય (E-Verify) કરવું પડે છે. જો તમે આધાર ઓટીપી કે નેટ બેંકિંગ દ્વારા ઈ-વેરિફાય નહીં કરો, તો ડિપાર્ટમેન્ટ તમારા આઈટીઆરને પ્રોસેસ નહીં કરે અને એવું માનવામાં આવશે કે તમે રિટર્ન ફાઇલ કર્યું જ નથી, જેના કારણે મોડો ટેક્સ ભરવાનો દંડ થઈ શકે છે.

