ડોક્ટરોની જરૂર નહીં પડે? કૃત્રિમ કોષોથી થશે અસાધ્ય બીમારીઓનો ઈલાજ!
વિજ્ઞાનની દુનિયામાં એક એવી ઘટના બની છે જેણે ભવિષ્યના તબીબી ક્ષેત્રને બદલી નાખવાની ક્ષમતા કેળવી છે. વૈજ્ઞાનિકોએ એક એવો સીમાચિહ્નરૂપ સફળ પ્રયોગ કર્યો છે જેમાં તેમણે લેબોરેટરીમાં શૂન્યમાંથી એક ‘કૃત્રિમ કોષ’ (Synthetic Cell) બનાવ્યો છે. આ કોષ કુદરતી કોષની જેમ જ ખોરાક લે છે, મોટો થાય છે અને પોતાની જાતે જ વિભાજન પામીને નવા કોષોનું નિર્માણ પણ કરે છે. જોકે, વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે કહે છે કે આ ‘જીવનની રચના’ નથી, પરંતુ વિજ્ઞાનનું એક એવું શક્તિશાળી સાધન છે જે કેન્સર, ડાયાબિટીસ અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ક્રાંતિ લાવી શકે છે.

શું છે આ ‘સ્ડ-સેલ’ (SpudCell)?
આ અદભૂત સંશોધન યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સિન્થેટિક બાયોલોજિસ્ટ કેટ એડમલાના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. તેમણે વિકસાવેલા આ પ્રોટોટાઇપ કોષને ‘સ્ડ-સેલ’ (SpudCell) નામ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કોષને કોઈ જીવંત કોષમાંથી બદલીને બનાવવામાં નથી આવ્યો, પરંતુ તેને સંપૂર્ણપણે નિર્જીવ રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરીને પાયાથી તૈયાર કરવામાં આવ્યો છે.
કુદરતી બેક્ટેરિયાના કોષમાં લાખો-કરોડો અણુઓ હોય છે, જ્યારે આ સ્ડ-સેલમાં માત્ર ૧૫૦ થી ૨૦૦ અણુઓ જ છે. આટલું સરળ હોવા છતાં, તે પોષક તત્વોને શોષી શકે છે, વૃદ્ધિ કરી શકે છે અને પેઢી દર પેઢી વિભાજન પામી શકે છે. આ સંશોધન આપણને જીવવિજ્ઞાનના સૌથી મોટા રહસ્યને સમજવામાં મદદ કરશે કે જીવન તેના પાયાના સ્તરે કેવી રીતે કામ કરે છે.
માનવ સ્વાસ્થ્ય માટે આ કેમ છે ગેમ-ચેન્જર?
નિષ્ણાતો માને છે કે આ કૃત્રિમ કોષો ભવિષ્યમાં જૈવિક ‘ફેક્ટરી’ તરીકે કામ કરશે. જે રીતે હાલમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન બનાવવા માટે આનુવંશિક રીતે સંશોધિત (Genetically Modified) બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, આ સ્ડ-સેલ તેનાથી પણ વધુ સુરક્ષિત અને ચોક્કસ પરિણામો આપી શકે છે. તેના સંભવિત ઉપયોગો નીચે મુજબ છે:
-
કેન્સરની વધુ સારી સારવાર: આ કોષોને એવી રીતે પ્રોગ્રામ કરી શકાશે કે તે સીધા શરીરના કેન્સરગ્રસ્ત કોષોને જ નિશાન બનાવે અને સ્વસ્થ કોષોને નુકસાન ન પહોંચાડે.
-
દવાઓનું ઉત્પાદન: ઇન્સ્યુલિન જેવી જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન વધુ ઝડપથી અને સસ્તા દરે કરી શકાશે.
-
પરસોનાલાઈઝ્ડ દવાઓ: દરેક દર્દીની શારીરિક જરૂરિયાત મુજબ દવા આપવાની નવી પદ્ધતિ વિકસાવી શકાશે.
-
રોગચાળા સામે રક્ષણ: કોઈપણ નવા વાયરસ કે રોગચાળા દરમિયાન ખૂબ જ ઓછા સમયમાં રસી બનાવી શકાશે.
-
જિનેટિક ડિસોર્ડર: દુર્લભ આનુવંશિક બીમારીઓની સારવારમાં આ ટેકનોલોજી વરદાન સાબિત થઈ શકે છે.

આ કેવી રીતે કામ કરે છે?
કુદરતી કોષોની જેમ આમાં પ્રોટીન બનાવવાની જટિલ સિસ્ટમ નથી હોતી. તેના બદલે, વૈજ્ઞાનિકો તેને બહારથી ‘રાઈબોઝોમ્સ’ પૂરા પાડે છે, જે પ્રોટીન બનાવવા માટે જવાબદાર મશીનરી છે. આ કોષ પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં દર ૧૨ કલાકે વિભાજન પામે છે. તે હજુ પણ કુદરતી બેક્ટેરિયા જેટલું કાર્યક્ષમ નથી, પરંતુ તે એક એવી સાબિતી છે કે આપણે જૈવિક સિસ્ટમને પ્રોગ્રામ કરી શકીએ છીએ.
શું આ ખતરનાક છે?
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું આ કૃત્રિમ જીવન પ્રકૃતિ માટે જોખમી બની શકે? વૈજ્ઞાનિકો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. હાલનો સ્ડ-સેલ પ્રયોગશાળાની બહાર જીવી શકતો નથી. તેને જીવંત રહેવા માટે લેબોરેટરી દ્વારા આપવામાં આવતા ખાસ પોષક તત્વોની જરૂર પડે છે. જો તે ભૂલથી પર્યાવરણમાં ફેલાઈ પણ જાય, તો તે તરત જ મૃત્યુ પામશે. ભવિષ્યમાં પણ, જ્યારે આ ટેકનોલોજી આગળ વધશે, ત્યારે તેમાં એવી સુરક્ષા પદ્ધતિઓ (Safety Mechanisms) રાખવામાં આવશે કે જે તેને નિયંત્રિત વાતાવરણની બહાર ટકી રહેતા અટકાવશે.