ચૂંટણી માહોલ વચ્ચે માતમ: સુમુલ ડેરીની ચૂંટણીના આ મજબૂત ઉમેદવારનું મોડી રાત્રે નિધન, કાર્યકરો સ્તબ્ધ!
તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ૧૭૨-નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા સુનીલભાઈ ગામીતનું મોડી રાત્રે આકસ્મિક નિધન થયું છે. હંમેશા વિવાદોથી જોજનો દૂર રહેનારા, શાંત, સરળ અને અત્યંત પ્રમાણિક છબી ધરાવતા સુનીલભાઈના અકાળ અવસાનથી સમગ્ર તાપી જિલ્લો સ્તબ્ધ થઈ ગયો છે. તેમના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ માત્ર કોંગ્રેસ પક્ષ જ નહીં, પરંતુ પક્ષ-પલટાની રાજનીતિથી પર રહીને તેમને ચાહનારા હજારો કાર્યકરો અને સામાન્ય નાગરિકોની આંખો ભીની થઈ ગઈ છે.
ઘટનાની વિગત: ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોટલમાં આવ્યો સાયલન્ટ એટેક
મળતી વિગતો અનુસાર, સુનીલભાઈ ગામીત છેલ્લા કેટલાક દિવસોથી આગામી સમયમાં યોજાનારી સુમુલ ડેરી (SUMUL Dairy) ની પ્રતિષ્ઠિત ચૂંટણીના પ્રચાર અને બેઠકોમાં ભારે વ્યસ્ત હતા. તેઓ સુમુલ ડેરીના અન્ય ઉમેદવારો અને સમર્થકો સાથે વ્યુહરચના ઘડવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલી એક હોટલમાં રોકાયા હતા.
રાત્રિના સમયે તેઓ હોટલના રૂમમાં હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. હોટલમાં હાજર સાથીદારો અને કાર્યકરો કંઈ સમજે કે તબીબી સારવાર મળી રહે તે પહેલાં જ ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવવાના કારણે તેમનો પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. ડૉક્ટરોના પ્રાથમિક અનુમાન મુજબ, આ એક ઘાતક ‘સાયલન્ટ એટેક’ હતો, જેણે એક સક્ષમ નેતાને આપણી વચ્ચેથી હંમેશા માટે છીનવી લીધા.
View this post on Instagram
સુમુલ ડેરીની ચૂંટણી માહોલ વચ્ચે સર્જાયો ભારે વજ્રાઘાત
આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે સુમુલ ડેરીની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. પૂર્વ ધારાસભ્ય સુનીલભાઈ ગામીતે આ ચૂંટણીમાં ઉચ્છલ બેઠક પરથી સત્તાવાર દાવેદારી નોંધાવી હતી. સહકારી ક્ષેત્રમાં પણ ખેડૂતો અને પશુપાલકોના અધિકારો માટે તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા હતા. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને તેઓ ખૂબ જ સક્રિય હતા અને ગત રાત્રે પણ તેઓ ચૂંટણીલક્ષી આયોજન માટે જ હોટલમાં રોકાયા હતા. જે બેઠક પરથી તેઓ દાવેદારી કરીને જીતની આશા રાખતા હતા, ત્યાં જ તેમના નિધનના સમાચાર પહોંચતા ચૂંટણીનો આખો માહોલ ગમગીન બની ગયો છે. સાથી ઉમેદવારો પણ પોતાના સાથીદારને ગુમાવીને આઘાતમાં સરી પડ્યા છે.
ડાંગના શામગહન પીએચસી ખાતે લાવવામાં આવ્યો પાર્થિવ દેહ
ઘટના મહારાષ્ટ્ર સરહદ નજીક બની હોવાથી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પૂર્વ ધારાસભ્ય સુનીલભાઈ ગામીતના પાર્થિવ દેહને તાત્કાલિક ડાંગ જિલ્લાના શામગહન ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે લાવવામાં આવ્યો હતો. શામગહન પીએચસી ખાતે તબીબોની ટીમ દ્વારા તેમનું પોસ્ટમોર્ટમ (PM) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ સમાચાર મળતા જ તાપી અને ડાંગ જિલ્લાના કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના મોટા નેતાઓ, ધારાસભ્યો અને સેંકડો સમર્થકો હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલની બહાર એકત્રિત થયેલા કાર્યકરોના ચહેરા પર પોતાના વહાલા નેતાને ગુમાવવાનું ભારે દુઃખ અને આંખોમાં આસુ સ્પષ્ટ જોઈ શકાતા હતા.
ગુજરાત કોંગ્રેસ માટે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ
સુનીલભાઈ ગામીતનું નિધન એ માત્ર તાપી જિલ્લા પૂરતું સીમિત ન રહેતા, સમગ્ર ગુજરાત કોંગ્રેસ માટે એક ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ સમાન છે. આજની બદલાતી રાજનીતિના યુગમાં પણ સુનીલભાઈએ પોતાની ‘મિસ્ટર ક્લીન’ અને પ્રમાણિક નેતા તરીકેની છબી જાળવી રાખી હતી. તેઓ ક્યારેય કોઈ ખોટા વિવાદોમાં સપડાયા નહોતા અને હંમેશા પાયાના કાર્યકરોની ચિંતા કરતા હતા.
૧૭૨-નિઝર વિધાનસભા બેઠક પર જ્યારે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા, ત્યારે તેમણે અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા. ગરીબોના બેલી એવા નેતાની અણધારી વિદાયથી કોંગ્રેસ પક્ષે તેનો એક મજબૂત સ્તંભ ગુમાવ્યો છે.
કાર્યકરો અને સામાન્ય જનતામાં શોક વ્યાપ્યો: સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો પૂર
માજી ધારાસભ્ય સુનીલભાઈના આકસ્મિક નિધનના સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર થતાં સુધીમાં તો ગામડે-ગામડે પહોંચી ગયા હતા. નિઝર, ઉચ્છલ, કુકરમુંડા અને વ્યારા સહિતના સમગ્ર તાપી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પક્ષના નાનામાં નાના કાર્યકરોથી લઈને વરિષ્ઠ આગેવાનો સોશિયલ મીડિયા પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, સુનીલભાઈ એક એવા નેતા હતા જેમને મળવા માટે ક્યારેય કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર પડતી નહોતી. રસ્તા પર ચાલતા ચાલતા પણ તેઓ સામાન્ય માણસની સુખ-દુઃખની વાતો સાંભળી લેતા હતા. આવા લોકાભિમુખ નેતાનું આમ અચાનક ચાલ્યા જવું એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે વજ્રાઘાત સમાન છે.